મૃત્‍યુ પછી કરવામાં આવનારું ક્રિયાકર્મ (ભાગ ૧)

Article also available in :

સગાંસંબંધીઓએ મૃત્‍યુ પછી કરવામાં આવનારું ક્રિયાકર્મ શ્રદ્ધાપૂર્વક અને વિધિવત કરવાથી મૃત વ્‍યક્તિનો લિંગદેહ ભૂલોકમાં અથવા મર્ત્‍યલોકમાં અટકાઈ પડવાને બદલે તેને સદ્ગતિ મળીને તે આગળના લોકમાં જઈ શકે છે. તેથી તેના દ્વારા (પૂર્વજો દ્વારા) કુટુંબીજનોને ત્રાસ થવાની, તેમજ આવા લિંગદેહ અનિષ્‍ટ શક્તિઓના નિયંત્રણમાં જવાની સંભાવના પણ ઓછી થાય છે.

આ લેખમાં આરંભનું ક્રિયાકર્મ, ક્રિયાકર્મ કોણે કરવું, ક્ષૌરવિધિ, દહનવિધિની સિદ્ધતા, અંત્‍યયાત્રા ઇત્‍યાદિ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

 

૧. વ્યક્તિના મૃત્યુ પછીના ૧૩મા દિવસ સુધી કરવાની મહત્ત્વની ક્રિયાઓ

વ્યક્તિના મૃત્યુ પછી ધર્મશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તેનું ક્રિયાકર્મ પુરોહિત દ્વારા કરાવી લેવાનું હોય છે. મોટાભાગે અંત્યસંસ્કાર વિશે જ્ઞાન ધરાવનારો પુરોહિત તરત જ મળવાનું અઘરું હોય છે. આવા સમયે પુરોહિત આવે ત્યાં સુધી નીચે આપેલી કેટલીક ક્રિયાઓ કરી શકાય. બાકીની ક્રિયાઓ કરવા વિશે પુરોહિત માર્ગદર્શન કરશે જ; પણ આપણને પણ ‘તે ક્રિયાઓ નક્કી કેવી રીતે કરવી જોઈએ ?’ આ લેખ વાંચીને પહેલાં જ સમજાશે અને તે તે સમયે તે તે ક્રિયા કરવી અધિક સહેલું પડશે. આમાંથી કેટલીક ક્રિયાઓમાં પાઠભેદ, તેમજ પ્રાંત અનુસાર / પરંપરા અનુસાર ફેર હોઈ શકે છે. જ્યાં આવા ફેર જણાય ત્યાં આપણા પુરોહિતનો અભિપ્રાય લેવો.

૧ અ. વ્યક્તિ મૃત થયા પછી આરંભમાં કરવાની ક્રિયાઓ

૧ અ ૧. મૃતદેહને ભૂમિ પર રાખવો :

જો મૃત્યુ પહેલાં વ્યક્તિને ભૂમિ પર રાખવામાં ન આવી હોય, તો મૃત્યુ પછી તરત જ મૃતદેહને ભૂમિ પર રાખવો. આ માટે, ‘મરણાસન્ન વ્યક્તિના સંદર્ભમાં કરવાની ક્રિયાઓ’ આ લેખમાં જણાવ્યા પ્રમાણે ક્રિયાઓ કરવી. જોકે મૃત્યુ પહેલાં વ્યક્તિનું માથું દક્ષિણ દિશા ભણી રાખીને સુવડાવવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ મૃત્યુ પછી મૃતદેહને રાખતી સમયે, તેના પગ સંબંધિત પ્રદેશની પરંપરા મુજબ દક્ષિણ, ઉત્તર અથવા પશ્ચિમ દિશા ભણી રાખવા જોઈએ.

મૃતદેહ દક્ષિણોત્તર મૂકવો

૧ અ ૨. મૃત વ્યક્તિના મોંમાં ગંગાજળ નાખવું :

જો શક્ય હોય તો મૃત વ્યક્તિના મોંમાં ગંગાજળ નાખવું અને તેનું મોં બંધ કરવું.

૧ અ ૩. મૃત વ્યક્તિના મોં, નાક અને કાનમાં તુલસી રાખવી :

મૃત વ્યક્તિના મોં પર તુલસીપત્ર મૂકવું. તેના કાન અને નાકમાં તુલસીના પાંદડાના ગુચ્છા મૂકીને તેને બંધ કરવા. તબીબી દૃષ્ટિએ આવશ્યક હોય તો, મોં, કાન અને નાકમાં તુલસીપત્ર મૂકતા પહેલાં રૂ મૂકવો.

૧ અ ૪. મૃત વ્યક્તિના શરીરને સીધું કરીને તેના હાથ-પગના અંગૂઠા બાંધવા :

મૃત વ્યક્તિના હાથ-પગ અને ગરદન સીધાં કરવા. આંખો બંધ કરવી. બંને પગના અંગૂઠા એકબીજા સાથે બાંધવા. બંને હાથ શરીરની આગળની બાજુએ લાવીને તેમના અંગૂઠા એકસાથે બાંધવા. મૃત્યુના થોડા સમય પછી શરીર સખત થઈ જતું હોવાથી, પછીથી આ કરવું અઘરું બને છે. (આ ક્રિયાનો ઉલ્લેખ ધર્મગ્રંથોમાં જોવા મળતો નથી. આ એક લૌકિક ક્રિયા છે.)

૧ અ ૫. મૃત વ્યક્તિની આસપાસ થોડું અંતર રાખીને અપ્રદક્ષિણા માર્ગે (ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં) ભસ્મ અથવા વિભૂતિ નાખવી !

૧ અ ૬. મૃત વ્યક્તિના માથા પાસે તેલનો દીવો પ્રગટાવવો :

પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તરત જ ઘરમાં તેલનો દીવો પ્રગટાવવાની પરંપરા પ્રચલિત છે. (જો કે, ધર્મશાસ્ત્ર અનુસાર દીવો પ્રગટાવવો બંધનકારક નથી.) મૃતદેહના માથાથી થોડા અંતરે, પલાળેલા લોટના (ઘઉંના લોટના) ગોળા પર કેવળ એક જ વાટવાળો તેલનો દીવો પ્રગટાવવો. આ દીવાની જ્યોત દક્ષિણ દિશા ભણી રાખવી.

૧ અ ૭. કુટુંબીઓએ પ્રાર્થના અને નામજપ કરતા કરતા સર્વ ક્રિયાકર્મ કરવા :

કુટુંબીઓએ મૃત વ્યક્તિના લિંગદેહનું અનિષ્ટ શક્તિઓના આક્રમણ (હુમલા) સામે રક્ષણ થવા માટે વચમાં વચમાં દત્ત ભગવાનને પ્રાર્થના કરવી – ‘હે દત્તાત્રેય ભગવાન,….. (મૃત વ્યક્તિનું નામ લેવું.) ના લિંગદેહ ફરતું તમારું સંરક્ષણ-કવચ નિરંતર રહેવા દેજો. તેમને આગળની ગતિ આપશો, એવી આપનાં ચરણોમાં પ્રાર્થના છે !’

 ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ કરતા કરતા આગળનાં સર્વ ક્રિયાકર્મ કરવા.

૧ અ ૮. મૃતદેહની નજીક દત્તનો નામજપ લગાડીને રાખવો :

સાત્ત્વિક અવાજમાં દત્તનો નામજપ https://www.sanatan.org/gujarati/audio-gallery આ ‘લિંક’ પરના ‘શ્રાવ્ય દાલન’માં ઉપલબ્ધ છે.

૧ અ ૯. ક્રિયાકર્મની સામગ્રીની સિદ્ધતા કરવી

૧. કર્તાએ પહેરવા માટે કોરું (નવું) ધોતિયું

૨. મૃતદેહ પર લગાડવા માટે તુલસીના મૂળની માટી, ભસ્મ અથવા વિભૂતિ અને ગોપીચંદન

૩. મૃતદેહ ઢાંકવા માટે ધોળું કપડું (મૃતદેહને ઢાંક્યા પછી તે ધોળાં કપડાનો એક ચતુર્થાંશ ભાગ કર્તાને ઉપવસ્ત્ર તરીકે વાપરવા માટે શેષ રહેવો જોઈએ.)

૪. ૧ વાટકી દહીં અને ૧ વાટકી ઘીનું મિશ્રણ

૫. ૧ વાટકી પંચગવ્ય (ગોમૂત્ર, ગોબર, દૂધ, દહીં અને ઘીનું મિશ્રણ)

૬. સાતુ / ચોખાના લોટના ૭ ગોળા

૭. ૨૫૦ ગ્રામ કાળા તલ

૮. ૫૦૦ ગ્રામ ઘી

૯. તલ, ફૂલ ઇત્યાદિે સામગ્રી રાખવા માટે ૪-૫ પતરાવળા, ૮-૯ દડિયા

૧૦. કર્તા અને પુરોહિતને બેસવા માટે પ્રત્યેક માટે એક આસન

૧૧. આચમની-પંચપાત્ર, લોટો અને તરભાણું

૧૨. ઠાઠડી માટે વાંસ (બાંબુ) (તેની લંબાઈ અને સંખ્યા સ્થાનિક પરંપરા અનુસાર નક્કી કરવી)

૧૩. ઠાઠડી બાંધવા માટે સીંદરી, એટલે કે કાથીની દોરી (આસરે એક કિલોગ્રામ) અને કોયતો

૧૪. અગ્નિ લઈ જવા માટે એક નાનું માટલું, તેમજ છાણાં, લાકડાના નાના ટુકડા, ફૂંકણી અને બાકસ

૧૫. એક મોટું માટલું અને પાણી

૧૬. મૃતદેહ પર પહેરાવવા માટે જાસુદના ફૂલોનો હાર (જો શક્ય હોય તો)

૧૭. મૃતદેહ પર પહેરાવવા માટે તુલસીનો હાર, સગાં-સંબંધીઓની સંખ્યા અનુસાર આવશ્યક તેટલા ફૂલોના હાર, ધોળા ફૂલો, ગલગોટાના ફૂલો, ૫-૧૦ તુલસીના તોરા

૧૮. મૃતદેહના અવયવો પર રાખવા માટે ૭ અને ચિતા નીચે રાખવા માટે ૧, એમ કુલ ૮ સોનાના ટુકડા (જો શક્ય હોય તો)

૧૯. શેવાળ

૨૦. શમીની નાની ડાળી

૨૧. દર્ભ (આ પુરોહિત લઈને આવે છે. મૃત વ્યક્તિના દેશ-કાળ અનુસાર ‘કેટલા દર્ભ વાપરવા?’, તે નક્કી થાય છે)

૨૨. ચિતા રચવા માટે કેરી, ફણસ ઇત્યાદિે વૃક્ષોના લાકડા, તેમજ છાણાં (ગોવર)

૨૩. ચિતા સારી રીતે પ્રજ્વલિત થાય તે માટે તલનું તેલ, કોપરેલ તેલ, કુદરતી ઘટકોમાંથી સિદ્ધ કરાયેલું અન્ય તેલ અથવા ઘી (સામાન્ય રીતે ૪-૫ લિટર)

૨૪. ૧૦૦ ગ્રામ કપૂર; ૨૫. ગંગાજળ (૫-૧૦ મિ.લી.)

૧ આ. મૃત વ્યક્તિના ક્રિયાકર્મ કોણે કરવા ?

મૃતને અગ્નિ આપવાથી માંડીને કાર્યસમાપ્તિ સુધીના વિધિ કરવાનો અધિકાર મૃત વ્યક્તિના જ્યેષ્ઠ પુત્રને છે. કેટલાક અપરિહાર્ય કારણોસર જ્યેષ્ઠ પુત્ર ક્રિયાકર્મ કરી શકતો ન હોય, તો સૌથી નાના પુત્રએ ક્રિયાકર્મ કરવું. જો તે પણ ન હોય, તો ક્રમવાર વચેટ પુત્ર, જમાઈ કે અન્ય સંબંધી ક્રિયાકર્મ કરી શકે છે. ક્રિયાકર્મ કરનારા પુરુષને ‘કર્તા’ કહે છે.

અવિવાહિત પુરુષ/સ્ત્રી, તેમજ નિપુત્રિક વ્યક્તિ ઇત્યાદિના ક્રિયાકર્મ ક્રમવાર તેની પાછળનો ભાઈ, પિતા અથવા મોટો ભાઈ, નહીંતર સંબંધી કરી શકે છે.

૧ આ ૧. પુરુષોએ ક્ષૌર કરવું અને નખ કાપવા

૧ આ ૨. કર્તાએ સ્નાન કરીને કોરા વસ્ત્રો, ઉદા. ધોતિયું પરિધાન કરવું તેમજ શરીર પર ખેસ લેવો નહીં !

૧ આ ૩. મૃતદેહને સ્નાન કરાવવું.

૧ આ ૪. મૃતદેહને નવાં વસ્ત્ર પહેરાવવા.

૧ આ ૫. મૃતદેહને અનુલેપન કરવું : વાસ્તવિક સ્નાન પછી તુલસીના મૂળિયાની માટીથી (ભસ્મ, ચંદન પ્રમાણે) સર્વ અંગોને અનુલેપન કરવું.

૧ આ ૬. મૃતદેહના ગળામાં હાર પહેરાવવો.

૧ આ ૭. મૃતદેહ ધોળા કપડાથી ઢાંકવો.

 

૨. આ ટાળવું !

અ. વ્યક્તિના મૃત્યુ પછી તેના નામે અથવા તેને યાદ કરીને આક્રંદ કરવો, છાતી કૂટવા જેવી કૃતિઓ કરવી નહીં. મૃત વ્યક્તિને આગળની ગતિ મળે તે માટે મૃત્યુ પછીના ક્રિયાકર્મ કરવાના હોય છે. સગાં-સંબંધીઓ દ્વારા આક્રંદ કરવા જેવી ક્રિયાઓ કરવાથી મૃત વ્યક્તિનો લિંગદેહ સગાં-સંબંધીઓની ભાવનાઓમાં અટવાઈ શકે છે. આ કારણે તેને આગળની ગતિ મળવામાં અવરોધ આવી શકે છે.

આ. ઘણા ઠેકાણે જો પતિ મૃત પામ્યો હોય, તો પત્નીએ મંગળસૂત્રમાંના મુહૂર્તમણિ, તેમજ સોનાની તારમાં પરોવેલા કાળા મણિ જુદા કરીને તે પતિના મૃતદેહ સાથે ચિતામાં મૂકવા માટે આપવાની પદ્ધતિ છે. આવા સમયે મંગળસૂત્રમાંના અન્ય સુવર્ણ અને સૌભાગ્યલંકાર કાઢીને સુરક્ષિત મૂકવામાં આવે છે. આ વિશે પોતાના પ્રાંતની પદ્ધતિ અનુસાર કરવું.

ઇ. મૃતદેહને કોઈએ પણ અનાવશ્યક સ્પર્શ કરવો નહીં.

 

૩. નીચેનામાંથી કોઈ એક જૂથમાં આવતી વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના અંતિમ સંસ્કાર પુરોહિતને પૂછીને કરવા.

અ. ૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો

આ. રજસ્વલા અવસ્થામાં મૃત્યુ પામેલી સ્ત્રીઓ

ઇ. અવિવાહિત સ્ત્રી અથવા પુરુષ

ઈ. સંન્યાસી

ઉ. મૃતદેહ વિચ્છિન્ન થયેલી વ્યક્તિ

ઊ. પૂર, આગ ઇત્યાદિે દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલી; પરંતુ અંતિમ વિધિ માટે મૃતદેહ ઉપલબ્ધ ન હોય તેવી વ્યક્તિ

એ. ઉપરની પરિસ્થિતિઓ સિવાય અન્ય કોઈ પણ અસાધારણ સ્થિતિમાં મૃત્યુ પામેલી વ્યક્તિ

 

૪. અંતિમયાત્રાની પૂર્વસિદ્ધતા

૪ અ. ઠાઠડી બાંધવી :

ઠાઠડી માટે વાંસનો ઉપયોગ કરવાનો પ્રઘાત છે. એમ હોવા છતાં વાંસનો ઉપયોગ કરવા વિશે ધર્મગ્રંથમાં ઉલ્લેખ મળતો નથી. અર્થાત્ ઠાઠડી માટે અન્ય લાકડાનો પણ ઉપયોગ કરી શકાય.

૪ આ. અગ્નિ રાખેલું માટલું મૂકવા માટે વાંસ ચીરીને તેનું વિશિષ્ટ ત્રિકોણ બાંધવું :

અગ્નિ રાખેલું માટલું લઈ જવા માટે વાંસ (અથવા અન્ય લાકડું) ચીરીને તેની ત્રણ લાકડીઓ કાઢવી. અગ્નિ રાખેલું માટલું સમાય, એટલા ત્રિકોણ આકારમાં તે બાંધવી.

૪ ઇ. મૃત વ્યક્તિએ છેલ્લા દિવસે વાપરેલા કપડાં અને પાથરવાનું-ઓઢવાનું એકત્રિત કરવું  :

આ સામગ્રી સ્થાનિક પરંપરા અનુસાર ચિતામાં મૂકવાની હોય તો અંત્યયાત્રા સાથે લઈ જવી. એકાદા પ્રાતમાં અન્ય પરંપરા (ઉદા. આવી સામગ્રી દાન કરવી) હોય તો તે પ્રમાણે કરવું.

૪ ઈ. અગ્નિ પ્રગટાવવો :

કર્તાએ છાણાં, કપૂર ઇત્યાદિનો ઉપયોગ કરીને પુરોહિતની સહાયતાથી વિધિવત્ અગ્નિ પ્રગટાવવો. પ્રગટાવેલો અગ્નિ નાના માટલામાં રાખવો.

૪ ઉ. મૃત વ્યક્તિને ઠાઠડી પર મુકવો :

ધોળા વસ્ત્રથી ઢાંકેલો મૃતદેહ પૂર્વ ભણી માથું અને પશ્ચિમ દિશામાં પગ કરીને ઠાઠડી પર રાખવો. ઠાઠડીના છેડે રહેલી સીંદરીની સહાયતાથી મૃતદેહ ઠાઠડી સાથે બાંધવો.

 

૫. અંત્યયાત્રા કાઢવી

૧. સ્મશાનમાં જતી સમયે અંત્યયાત્રામાં સહભાગી થયેલી કોઈપણ વ્યક્તિએ અગ્નિ પ્રજ્વલિત કરેલું માટલું પોતાના જમણા હાથમાં લેવું અને ઠાઠડીની આગળ ચાલવું. અંત્યયાત્રામાં ‘આગળ અગ્નિ પ્રજ્વલિત કરેલું માટલું લીધેલી વ્યક્તિ અને તેની પાછળ ઠાઠડી’, એવું હોવું જોઈએ. અગ્નિ અને ઠાઠડીની વચ્ચે કોઈએ રહેવું નહીં. સહુએ ઠાઠડીની પાછળથી ચાલવું.

૨.  કર્તાએ ઠાઠડીને ખભો આપવો. તેની સાથે અન્ય કુટુંબીજનોએ અથવા સગાંસંબંધીઓએ અને તેઓ પણ જો ઉપસ્થિત ન હોય તો પાડોસીઓએ ઠાઠડીને ખભો આપવો. ઠાઠડીને એક સમયે ચાર જણે ખભો આપવો.

૩. અંત્યયાત્રામાં મૃતદેહનું માથું આગળની દિશામાં કરવું.

૪. અંત્યયાત્રામાંની કોઈપણ વ્યક્તિએ પાણીથી ભરેલું માટલું લેવું.

૫. અંત્યયાત્રા સ્મશાનમાં પહોંચે ત્યાં સુધી બધાએ ધર્મશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ‘શ્રીરામ જય રામ જય જય રામ’ અથવા ‘નારાયણ’ આ નામજપ મોટેથી કરવો યોગ્ય હોવા છતાં અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિએ ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ મોટેથી કરવો અધિક યોગ્ય હોવાથી તે કરવો. દત્તનો નામજપ કરવો અધિક યોગ્ય હોય, તો પણ આપણી શ્રદ્ધા અનુસાર  શ્રીરામ અથવા નારાયણનો નામજપ કર્યો તો પણ ચાલશે.

૬. અંત્યયાત્રા અર્ધા રસ્તે પહોંચે ત્યારે ઠાઠડી નીચે મૂકવી.

૭. કર્તાએ પુરોહિતના કહેવા અનુસાર પિંડ આપવાનો વિધિ કરવો.

૮. ત્યારપછી ઠાઠડી પાછી ખભે લેતી સમયે ખભો આપનારાઓએ ખભો પાલટવો. એટલે કે ઠાઠડી નીચે મૂકતા પહેલાં જે ૨ ખભો આપનારાઓએ તે ડાબા ખભા પર લીધી હતી, તેઓએ પાછી ખભા પર લેતી સમયે તે જમણા ખભા પર લેવી. બીજા બે જણાંઓએ પણ તેમના ખભાઓમાં આ રીતે પાલટ કરવો. ત્યારપછી ઠાઠડી આગળ લઈ જવી.

વ્‍યક્તિના મૃત્‍યુ પછી ૧૩મા દિવસ સુધી કરવાની બાકીની મહત્વની ક્રિયાઓ વિશેની વિગતવાર જાણકારી વાંચવા માટે જુઓ, ‘મૃત્‍યુ પછી કરવામાં આવનારું ક્રિયાકર્મ (ભાગ ૨)’

સંદર્ભ : સનાતન-નિર્મિત લઘુગ્રંથ ‘મૃત્‍યુ પછીના ક્રિયાકર્મનું શાસ્‍ત્ર’

Leave a Comment