શ્રી ગણપતિની વિશિષ્ટતાઓ

 

ગણપતિપૂજનનું મહત્ત્વ

કોઈપણ દેવતાની પૂજા કરતી વેળાએ પહેલાં શ્રી ગણપતિપૂજન કરવાનું મહત્ત્વ

પૂજાસ્થાન પર અન્ય દેવતાઓ શ્રી ગણપતિની અનુમતિ વિના કોઈપણ દિશામાંથી આવી શકતા નથી; તેથી કોઈપણ મંગળકાર્ય અથવા અન્ય કોઈપણ દેવતાની પૂજા કરતી વેળાએ પ્રથમ શ્રી ગણપતિપૂજન કરે છે. શ્રી ગણપતિ એકવાર દિશાઓ ખુલ્લી કરી આપે પછી જે દેવતાની આપણે પૂજા કરીએ છીએ તે ત્યાં આવી શકે છે. એને જ  ‘મહાદ્વારપૂજન’ અથવા ‘મહાગણપતિપૂજન’ એવું કહેવાય છે.

 

 કાર્ય અને વિશિષ્ટતાઓ

વિઘ્નહર્તા

વિઘ્નહર્તા હોવાથી લોકનાટ્યથી માંડીને વિવાહ સુધીના, તેમજ ગૃહપ્રવેશ ઇત્યાદિ બધી વિધિઓના આરંભમાં શ્રી ગણેશપૂજન હોય છે.

પ્રાણશક્તિ વધારનારા

માનવીના શરીરમાંના જુદા જુદા કાર્યો જુદી જુદી શક્તિઓ દ્વારા થતા હોય છે. (આ જુદી જુદી શક્તિઓ વિશેનું વિવરણ (માહિતી) સનાતનના ‘આધ્યાત્મિક ઉન્નતિ માટે હઠયોગ’ આ ગ્રંથમાંના ‘પ્રકરણ ૬. પ્રાણાયામ’માં આપ્યું છે.) તે જુદી જુદી શક્તિઓની મૂળભૂત શક્તિને ‘પ્રાણશક્તિ’ એમ કહેવાય છે. શ્રી ગણપતિનો નામજપ પ્રાણશક્તિ વધારનારો છે.

વિવેકબુદ્ધિ નિર્માણ કરીને ચિત્ત શાંત કરનારા

શ્રી ગણેશ એ બ્રહ્માંડમાંની દૂષિત શક્તિ આકર્ષિત કરી લેનારા છે, તેમજ માનવીની બુદ્ધિમાં વિવેક નિર્માણ કરનારા છે. શ્રી ગણેશની ઉપાસના કરવાને લીધે વિકલ્પશક્તિ પ્રભાવ પાડી શકતી નથી. બુદ્ધિ સ્થિર રહીને ચિત્ત શાંત રહે છે.

વિદ્યાપતિ

પત્ર અથવા અન્ય કાંઈપણ લખતી વળાએ પ્રથમ ‘શ્રી ગણેશાય નમ: ।, શ્રી સરસ્વત્યૈ નમ: ।, શ્રી ગુરુભ્યો નમ: ।’   એવું લખવાની પ્રાચીન પદ્ધતિ હતી. આ ક્રમ એવો શા માટે લીધો ? કોઈપણ વિષયનું જ્ઞાન પ્રથમ બુદ્ધિથી જ થતું હોય છે અને શ્રી ગણપતિ બુદ્ધિદાતા છે; માટે પ્રથમ ‘શ્રી ગણેશાય નમ: ।’  એમ લખવું. બુદ્ધિથી જે જ્ઞાન ગ્રહણ કર્યું, તે શબ્દબદ્ધ કરવાનું કામ સરસ્વતીનું છે; માટે બીજો ક્રમાંક શ્રી સરસ્વતીને આપ્યો. જ્ઞાન ગ્રહણ કરવાનું અને તે શબ્દબદ્ધ કરવાનું માધ્યમ ગુરુ છે; માટે ગુરુને ત્રીજો ક્રમાંક આપ્યો.

મહાભારત લખવા માટે મહર્ષિ વ્યાસને એક બુદ્ધિમાન લહિયો જોઈતો હતો. તે કાર્ય કરવા માટે તેમણે શ્રી ગણપતિની જ પ્રાર્થના કરી હતી.

નાદભાષા અને પ્રકાશભાષાનું એકમેકમાં રૂપાંતર કરનારા

માનવીની નાદભાષા હોય છે, જ્યારે દેવતાઓની પ્રકાશભાષા. શ્રી ગણપતિ નાદભાષાનું પ્રકાશભાષામાં અને પ્રકાશભાષાનું નાદભાષામાં રૂપાંતર કરનારા દેવતા છે; તેથી આપણે બોલીએ, તે નાદભાષા ગણપતિ સમજી શકે  છે; એટલા માટે જ તે વહેલા પ્રસન્ન થનારા દેવ છે. અન્ય દેવતાઓ મોટા ભાગે પ્રકાશભાષા જ સમજી શકે છે.

જીવને જન્મ લેવાની અનુમતિ આપનારા

મહ (જન્મ લેનારો જીવ) ગણપતિની અનુમતિથી જન્મ લે છે.

બધા સંપ્રદાયોને પૂજ્ય

‘પોતાના ઉપાસ્યદેવતા જ સર્વશ્રેષ્ટ છે, અને તે જ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા છે; અન્ય દેવતા નથી જ’, એવું માનવું એટલે સંપ્રદાય. એવા અનેક સંપ્રદાય ભલે હોય, છતાં પ્રત્યેક સંપ્રદાયમાં ગણેશપૂજા છે. શૈવ સંપ્રદાયમાં શ્રી ગણપતિ એટલે શિવજીના પુત્ર અને શિવજીના મુખ્ય ગણ તરીકે જોવામાં આવે છે, જ્યારે વૈષ્ણવ સંપ્રદાયમાં તે અનિરુદ્ધ, વાસુદેવ ઇત્યાદિ રૂપોમાં જોવા મળે છે. શાક્ત સંપ્રદાયમાં (દેવી સંપ્રદાયમાં) દક્ષિણમાર્ગી અને વામમાર્ગી એમ બે પ્રકાર છે. બન્નેમાં શ્રી ગણેશપૂજન કરવામાં આવે છે. આ સંપ્રદાયમાં તે શક્તિગણપતિ, લક્ષ્મીગણપતિ એવાં વૈવાહિક રૂપોમાં દર્શાવવામાં આવે છે, તેમજ સ્ત્રીરૂપે પણ પૂજવામાં આવે છે. શ્રી ગણેશપૂજન જૈન પંથમાં પણ કરવામાં આવે છે.

બૌદ્ધ પંથનો સ્વીકાર કરનારા સમ્રાટ અશોકની ચારુમતિ નામક પુત્રીએ નેપાળમાં શ્રી ગણેશમંદિર બંધાવ્યું. ’હેરંબ’ નામથી પ્રસિદ્ધ પામેલા ત્યાંના શ્રી ગણેશ સિંહાસનાધિષ્ઠિત છે અને તેમને ૫ મસ્તક અને ૧૦ હાથ છે, એવો ઉલ્લેખ ગણેશસાહિત્યમાં જોવા મળે છે.

સંતોએ ગૌરવ કરેલા દેવતા

જુદા જુદા સાધનામાર્ગોમાંના સંત જુદી જુદી દેવતાઓના ઉપાસક ભલે હોય, છતાં બધા સંતોએ શ્રી ગણેશ પાસે કાલાવાલા કર્યા છે અને તેમનું સ્તવન અગત્યતાપૂર્વક કર્યું છે. સર્વ સંતો માટે શ્રી ગણેશ અતિશય પૂજનીય દેવતા છે. સંત તુલસીદાસે પણ ‘રામચરિતમાનસ’ પહેલાં શ્રી ગણેશસ્તવન કર્યું છે.

સંગીત અને નૃત્યમાં પ્રવીણ રહેલા

સ્વરબ્રહ્મનો આવિષ્કાર એટલે ઓંકાર. શ્રી ગણેશને પણ ‘ઓંકારસ્વરૂપ શ્રી ગણેશા’ એમ કહ્યું છે. શ્રી ગણેશ વરદસ્તોત્રમાંના અનેક શ્લોક પરથી ગણેશજીનો સંગીત સાથે રહેલો સંબંધ સ્પષ્ટ થાય છે. જ્ઞાનેશ્વર મહારાજ, સંત નામદેવ, સમર્થ રામદાસસ્વામી ઇત્યાદિ સંતોની અભંગરચના દ્વારા પણ ગણેશજીનો સંગીત સાથે આત્મીય સંબંધ ધ્યાનમાં આવે છે. નર્તક રૂપમાંની ગણરાયાની મૂર્તિઓ પણ જોવા મળે છે. સોનેરી દેહકાંતિ ધરાવતા આ ગણપતિને આઠ હાથ છે અને તેમનો ડાબો પગ પદ્માસનમાં છે, જ્યારે જમણો પગ અદ્ધર છે.

વાક્દેવતા

ગણેશ પ્રસન્ન થાય કે, વાક્સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રી ગણપતિ સાધનાના પ્રારંભમાં દિશાદર્શન કરવાનું કાર્ય કરે છે.

ગણેશતત્ત્વ આકર્ષિત કરનારી આકૃતિ-રચના

અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિએ પ્રત્યેક દેવતા એટલે વિશિષ્ટ તત્ત્વ. ગણેશતત્ત્વ આકર્ષિત કરવા માટે જેવી રીતે ગણપતિને લાલ ફૂલ, દૂર્વા, શમીપત્રો (પાંદડાં), મંદારનાં પાન ઇત્યાદિ ચઢાવાય છે, તેવી જ રીતે કેટલીક આકૃતિ-રચનાઓને કારણે પણ ગણેશતત્ત્વ આકર્ષિત થવામાં સહાયતા થાય છે. ગણેશતત્ત્વને આકર્ષિત કરનારી એક આકૃતિ એટલે રંગોળી. રંગોળી, ગણપતિનું સુશોભન, તોરણ ઇત્યાદિમાં ઉપયોગમાં લેવાથી ગણેશતત્ત્વનો વધારેમાં વધારે લાભ થાય છે.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ  ‘શ્રી ગણપતિ’

Leave a Comment