શ્રી ગણેશ ચતુર્થી

ઇતિહાસ

ગણેશ લહેરો જે દિવસે પહેલા પૃથ્વી પર આવ્યા, એટલે કે જે દિવસે ગણેશનો જન્મ થયો, તે દિવસ હતો મહા સુદ પક્ષ ચોથ. ત્યારથી ગણપતિનો અને ચોથનો સંબંધ જોડાઈ ગયો.

મહા સુદ પક્ષ ચોથ ‘શ્રી ગણેશ જયંતી’ તરીકે ઊજવવામાં આવે છે. આ તિથિની વિશિષ્ટતા એટલે, આ તિથિએ શ્રી ગણેશનું તત્વ હંમેશની તુલનામાં ૧ સહસ્રગણું કાર્યરત હોય છે.

 

શ્રી ગણેશ ચતુર્થીનું  મહત્વ

અ. વિનાશકારક, તમપ્રધાન યમલહેરો પૃથ્વી પર અષાઢ પૂર્ણિમાથી કારતક પૂર્ણિમા આ ૧૨૦ દિવસોમાં વધારે પ્રમાણમાં આવે છે. આ સમયમાં તેમની તીવ્રતા વધારે હોય છે. તે તીવ્રતાના સમયમાં, એટલે ભાદરવો સુદ પક્ષ ચોથથી અનંત ચૌદશ સુધી, ગણેશલહેરો પૃથ્વી પર વધારે પ્રમાણમાં આવતી હોવાથી યમલહેરોની તીવ્રતા ન્યૂન થવામાં સહાયતા થાય છે.

આ. ગણપતિનાં સ્પંદનો અને પૃથ્વીના ચતુર્થી તિથિનાં સ્પંદનો એકસરખા હોવાથી તે એકમેકને અનુકૂળ હોય છે; એટલે જ તે તિથિએ ગણપતિનાં સ્પંદનો વધારે પ્રમાણમાં પૃથ્વી પર આવી શકે છે. પ્રત્યેક માસની ચતુર્થીના દિવસે ગણેશતત્વ હંમેશની તુલનામાં પૃથ્વી પર ૧૦૦ ગણું કાર્યરત હોય છે. આ તિથિએ કરેલી શ્રી ગણેશની ઉપાસનાથી ગણેશતત્વ નો વધારે લાભ થાય છે.

ઇ.  ચતુર્થી એટલે જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિના પેલેપારની તુરીયાવસ્થા. તે જ સાધકનું સાધ્ય હોય છે.

ઈ. ‘અગ્નિપુરાણ’ નામક ગ્રંથમાં ભોગ અને મોક્ષની પ્રાપ્તિ માટે ચતુર્થીનું વ્રત કરવા માટે કહ્યું છે.

ઉ. ચંદ્રદર્શન નિષેધ

આ દિવસે ચંદ્ર જોવાય નહીં; કારણકે ચંદ્ર મનનો કારક છે, એટલે મનને કાર્ય કરવા પ્રવૃત્ત કરે છે. સાધકને તો મનનો લય કરવાનો હોય છે. ગ્રહમાળામાં ચંદ્ર ચંચળ છે, એટલે તેના આકારમાં વધ ઘટ થાય છે; તે જ રીતે શરીરમાં મન ચંચળ છે. ચંદ્રદર્શનથી મનની ચંચળતા એક લક્ષાંશ જેટલી વધે છે. આ મન જ્યારે ઉન્મન થાય છે, ત્યારે જ તુરીયાવસ્થા પ્રાપ્ત થાય છે. સંકષ્ટીએ સમગ્ર દિવસ સાધના કરીને રાત્રે ચંદ્રદર્શન કરાય છે. આ એક રીતે સાધનાકાળ પૂરો થવાનો, મનોવ્યાપાર હંમેશ પ્રમાણે ચાલુ કરવાનો દર્શક છે.

 

શ્રી ગણેશ ચતુર્થીનાં  પ્રકાર

સુદ પક્ષમાંની ચોથને ‘વિનાયકી’ અને વદ પક્ષમાંની ચોથને ‘સંકષ્ટી’ કહેવાય છે.

વિનાયકી

આ દિવસની પૂજાવિધિમાં સંકષ્ટી પ્રમાણે ચંદ્રદર્શન અને ચંદ્રપૂજા હોતી નથી. આખો દિવસ ઉપવાસ કરાય છે અને બીજા દિવસે પારણાં કરાય છે. આ વ્રતના દેવતા  સિદ્ધિવિનાયક છે. એટલે બધું સારું થાય તે માટે વિનાયકી કરાય છે.

સંકષ્ટી

સંકષ્ટ એટલે સંકટ. પૃથ્વી પરથી આવનારી ૩૬૦ જેટલી લહેરોથી આપણું શરીર ઘેરાય જાય છે. તેનાથી શરીરમાંનો પ્રવાહ બંધિયાર થાય છે. તેનેજ સંકટ કહેવાય. વદ પક્ષમાં ૩૬૦ લહેરો વધારે પ્રમાણમાં કાર્યરત હોય છે. તેનાથી શરીરની બઘી નાડીઓમાંનો પ્રવાહ બંધિયાર થાય છે. આ સંકટનું નિવારણ કરવા માટે સંકષ્ટી કરાય છે. ૩૬૦ લહેરો પર શ્રી ગણપતિનું આધિપત્ય છે; માટે તેઓની ઉપાસનાથી આ ૩૬૦ લહેરોના સંકટથી છૂટકારો થાય છે.

આ દિવસે આખો દિવસ ઉપવાસ કરવો. સંપૂર્ણ નિરાહાર રહેવું. સાંજે સ્નાન કરીને શ્રી ગણપતિપૂજનની સિદ્ધતા કરી રાખવી. રાત્રે ચંદ્રદર્શન પછી પૂજા માટે ઘરમાં શ્રી ગણેશમૂર્તિ હોય તો તેની અને ન હોય તો ચોખાની ઢગલી પર સોપારી મૂકીને તેની  ગણપતિ તરીકે ષોડશોપચારે પૂજા કરવી. અથર્વશીર્ષનાં એકવીસ આવર્તનો કરવાં. ચંદ્રને અર્ઘ્ય આપવું અને તેની દિશામાં ગંધ, ફૂલ અને ચોખા ઉછાળીને તેને નમસ્કાર કરવા. ચતુર્થી તિથિએ તરભાણામાં અર્ઘ્ય આપવું. અંતમાં મહાનૈવેદ્ય ધરીને ભોજન કરવું.  વિઘ્નવિનાયક એ આ વ્રતના દેવતા છે.

અંગારકી

મંગળવારે આવતી ચોથને ‘અંગારકી’ કહેવાય છે. અંગાર એટલે મંગળ ગ્રહ અથવા ભૂમિ. ગણપતિનું પૃથ્વી પ્રમાણે જ મંગળ પર પણ આધિપત્ય છે. ગણપતિનો અને મંગળનો રંગ પણ એકજ છે. અંગારકી તિથિએ ગણેશ સ્પંદનો વધારે પ્રમાણમાં પૃથ્વી પર આવે છે, તેમજ મંગળ પાસેથી આવનારાં ગણેશ સ્પંદનો પણ પૃથ્વી પર આવે છે. એ કારણે ચંદ્ર પાસેથી આવનારી લહેરો વધારે પ્રમાણમાં નષ્ટ થાય છે; એટલા માટે જ  ‘અંગારકી વિનાયકી’ અને ‘અંગારકી સંકષ્ટી’ ફળ આખું વર્ષ કરેલા ક્રમવાર વિનાયકી અને સંકષ્ટી જેટલું છે.

અંગારકી એ અન્ય વ્રતો પ્રમાણે અહોરાત્રિનું વ્રત નથી. તે પંચપ્રહરાત્મક વ્રત છે. દિવસના ચાર અને રાત્રિનો એક એ રીતે પાંચ પ્રહરોનું આ વ્રત છે. ચંદ્રોદય પછી ભોજન કરવું એવો આ વિધિ છે; એટલા માટે તે જમણ પારણાં નથી પણ વ્રતાંગ ભોજન છે.

 

ચતુર્થી કુટુંબમાં કોણે કરવી ?

શ્રી ગણેશ ચોથને દિવસે આચરવામાં આવનારું વ્રત ‘સિદ્ધિવિનાયક વ્રત’ આ નામથી ઓળખાય છે. વાસ્તવમાં આ વ્રત બધાં કુટુંબોમાં થવું આવશ્યક છે. જો બધા ભાઈ સાથે રહેતા હોય એટલે જ તેમનો દ્રવ્યકોશ (ખજાનો) અને પાકનિષ્પત્તિ (ચૂલો) સાથે હોય, તો બધા મળીને એકજ મૂર્તિ પૂજે તો પણ ચાલે; પણ જે સમયે દ્રવ્યકોશ અને પાકનિષ્પત્તિ કોઈપણ કારણસર વિભક્ત હોય, તો તેઓએ પોતપોતાનાં ઘરે સ્વતંત્ર ગણેશમૂર્તિ પૂજવી.

કુળાચાર પ્રમાણે અથવા પૂર્વાપાર ચાલતી આવેલી પદ્ધતિ પ્રમાણે એકજ ગણપતિની સ્થાપના કરવાની ઢ પરંપરા જો ભાંગવી ન હોય, તો જે ભાઈમાં ગણપતિ વિશે વધારે ભક્તિભાવ હોય, તેના જ ઘરે ગણપતિની સ્થાપના કરવી યોગ્ય છે.

 

શ્રી ગણેશ ચતુર્થી માટે પૂજવામાં આવનારી મૂર્તિ ઘરે કેવી રીતે લાવવી ?

અ.  શ્રી ગણેશની મૂર્તિ ઘેર લાવવા માટે ઘરમાંના કર્તા પુરુષે અન્યો સહ જવું.

આ. મૂર્તિ હાથમાં ઝાલનારાએ હિંદૂ પહેરાવ કરવો, એટલે પહેરણ-ધોતિયું અથવા પહેરણ-લેંઘો પરિધાન કરવો. તેણે માથે ટોપી પણ પહેરવી.

ઇ.  મૂર્તિ લાવતી વેળાએ તેના પર રેશમી, સુતરાઉ અથવા ખાદીનું સ્વચ્છ વસ્ત્ર ઢાંકવું. મૂર્તિ ઘેર લઈ આવતી વેળાએ મૂર્તિનું મુખ લાવનારી વ્યક્તિ ભણી અને પીઠ સામેની દિશામાં હોવી જોઈએ. મૂર્તિની સામેના ભાગમાંથી સગુણતત્વ, જ્યારે પીઠના ભાગમાંથી નિર્ગુણતત્વ પ્રક્ષેપિત થતું હોય છે. મૂર્તિ હાથમાં ઝાલનારો પૂજક હોય છે. તે સગુણમાંના કાર્યનું પ્રતીક છે. મૂર્તિનું મુખ તેના ભણી કરવાથી તેને સગુણતત્વ નો લાભ થાય છે, જ્યારે અન્યોને નિર્ગુણતત્વ નો લાભ થાય છે.

ઈ.  શ્રી ગણેશનો જયજયકાર અને ભાવપૂર્ણ નામજપ કરતાં કરતાં મૂર્તિ ઘેર લાવવી.

ઉ.  ઘરના ઉંબરાની બહાર ઊભા રહેવું. ઘરમાંની સુવાસિની સ્ત્રીએ મૂર્તિ લાવનારી વ્યક્તિના પગ પર દૂધ અને પછી પાણી રેડવું.

ઊ. ઘરમાં પ્રવેશ કરવા પહેલાં મૂર્તિનું મુખ સામેની દિશામાં કરવું. ત્યાર પછી મૂર્તિની આરતી ઉતારીને તે ઘરમાં લાવવી.

 

મૂર્તિની સ્થાપના આસન પર કેવી રીતે કરવી ?

પૂજા પહેલાં જે પાટલા પર મૂર્તિની સ્થાપના કરવાની હોય છે, તેના પર ચોખા (ધાન્ય) અથવા તેની નાની નાની ઢગલી મૂકીને તેના પર મૂર્તિ રાખવામાં આવે છે. ચોખા પર મૂર્તિ રાખવાથી આગળ જણાવ્યા પ્રમાણે ફાયદો થાય છે. મૂર્તિમાંના ગણેશજીને આવાહન કરીને તેમની પૂજા કરવાથી મૂર્તિમાં શક્તિ નિર્માણ થાય છે. તે શક્તિને કારણે ચોખા ભારિત થાય છે. આ ચોખાને ઘરમાં વપરાશ માટે સંગ્રહિત કરેલા ચોખામાં મૂકવાથી તેમાં પણ શક્તિના સ્પંદનો નિર્માણ થાય છે. આવી રીતે શક્તિથી ભારિત થયેલાં ચોખા પ્રસાદ તરીકે સમગ્ર વર્ષ સુધી આરોગી શકાય છે.

 

મહેરાબ (શણગાર) માટે થર્મોકોલ’નો ઉપયોગ ટાળવો !

શ્રી ગણેશની મૂર્તિ માટે મહેરાબ (શણગાર) કરતી વેળાએ ‘થર્મોકોલ’નો ઉપયોગ કરવો નહીં. થર્મોકોલ’ અવિઘટનશીલ ઘટક છે અને તેની વપરાશને કારણે પર્યાવરણની પાયમાલી થાય છે. તેમજ થર્મોકોલ’ રસાયણિક પ્રક્રિયા દ્વારા નિર્માણ થયું હોવાથી તે રજ-તમોગુણી છે. આવું રજ-તમોગુણી ઘટક સાત્વિકતા ગ્રહણ કરી શકે નહીં, ઊલટું રજ-તમોગુણી સ્પંદનો પ્રક્ષેપિત કરે છે. મહેરાબ માટે કેળના થડિયાનો ઉપયોગ કરવો. કેળના થડિયામાંથી બનાવેલા મહેરાબમાં વધારે સાત્વિકતા હોય છે.

 

શાસ્ત્રોક્ત વિધિ તથા રિવાજનો સમયગાળો

ભાદરવા સુદ પક્ષ ચોથના દિવસે માટીના ગણપતિ બનાવાય છે. તે ડાબા હાથ પર મૂકીને ત્યાં જ તેની ‘સિદ્ધિવિનાયક’ આ નામથી પ્રાણપ્રતિષ્ઠા અને પૂજા કરીને તરત જ વિસર્જન કરવું, એવો શાસ્ત્રવિધિ છે; પણ માનવી ઉત્સવપ્રિય હોવાથી તેનું એટલાથી જ સમાધાન થતું ન હતું, માટે દોઢ, પાંચ, સાત અથવા દસ દિવસ શ્રી ગણપતિ રાખીને તેનો ઉત્સવ કરવા લાગ્યા. ઘણા લોકો (જ્યેષ્ટ) ગૌરી સાથે ગણપતિનું વિસર્જન કરે છે. એકાદના કુળાચારમાં ગણપતિ પાંચ દિવસના હોય અને તે તેને દોઢ અથવા સાત દિવસના કરવા હોય, તો તે તેમ કરી શકે છે. એ માટે અધિકારી વ્યક્તિને પૂછવાની આવશ્યકતા નથી. રિવાજ પ્રમાણે પહેલાં, બીજા, ત્રીજા, છઠા, સાતમા અથવા દસમા દિવસે શ્રી ગણેશ વિસર્જન કરવું.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ ‘શ્રી ગણપતિ’