ગુરુપૂર્ણિમા

અનુક્રમણિકા

 

૧. મહત્ત્વ

હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું મહત્ત્વ અનન્યસાધારણ કહ્યું છે. તેથી જ અષાઢ પૂર્ણિમાને દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. તેને જ ગુરુપૂર્ણિમા તેમ જ વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. વ્યાસ મુનિએ માનવજાત પર કરેલા જ્ઞાનદાનના ઉપકાર મહાન છે. વ્યાસ મુનિએ આપેલા જ્ઞાનને કારણે માનવી પોતાના કર્મબંધનમાંથી મુક્ત થાય છે.

॥ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા ડ મૃતં ગમય ॥

આ શ્લોકમાં એક વિજ્ઞાન છે. તે એમ છે કે, આ માયારૂપી જગતમાં જડ અને ચૈતન્ય દ્વારા કાર્ય થતું હોય છે. આવરણ એ જડ, અસત્, તમસ અને નાશ પામનારું છે, જ્યારે તેની અંદર રહેલું ચૈતન્ય એ સત્, જ્યોતિર્મય, પ્રકાશમય, સ્વસંવેદ્ય, ચૈતન્યમય અને અમર, કાયમસ્વરૂપી આનંદમય છે. જડસ્વરૂપ સગુણ આ તો કેવળ સાધન છે. તેથી ગુરુ આ જગતની, આ માયાની સત્યસ્થિતિનું શિષ્યને ભાન કરાવીને અમરરૂપી આત્મતત્ત્વ ભણી તેને લઈ જાય છે. આ મહાન કાર્ય ગુરુકૃપાને કારણે બની શકે છે.

ગુરુ શિષ્યને અસત્ય એવા માયાના પાશમાંથી મુક્ત કરીને તેને સત્ય એવા આત્મતત્ત્વ ભણી દોરી જાય છે. વાસ્તવિક માયા આ સાધન છે અને તે જ સત્ય છે, એવા ભ્રમરૂપી અજ્ઞાનમાંથી ગુરુ તેને પોતાના આત્મજ્ઞાન દ્વારા આત્મપ્રકાશ ભણી દોરી જાય છે. શરીરના મોહને કારણે ‘શરીર અમર રહેવું જોઈએ’, એવું તે સમજતો હોવાથી તેને સતત મૃત્યુનો ભય રહે છે. આવા મૃત્યુનો ભય રહેલા શિષ્યને ગુરુદેવ આત્મરૂપી અમર તત્ત્વ ભણી લઈ જાય છે.

તેથી જ ગુરુદેવને ‘ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ: ગુરુર્દેવો મહેશ્વર: ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમ: ॥’ એમ બોલીને નમસ્કાર કરે છે. ગુરુ, આ તો તત્ત્વ છે. તે ઈશ્વરસ્વરૂપ હોવાથી એ જ બ્રહ્મ, સર્વવ્યાપક એવું વિષ્ણુસ્વરૂપ, તેમ જ શંકર છે. ગુરુ, સાક્ષાત પરબ્રહ્મ છે. તેથી હું આવા પરબ્રહ્મસ્વરૂપ ગુરુને નમસ્કાર કરું છું.

જીવતત્ત્વ જ્યારે ભૂતલ પર જન્મે છે, ત્યારે તે આગળ જતાં માયાના પ્રભાવને કારણે માયાને જ સત્ય સમજી લઈને તેના સકંજામાં સપડાઈને કાર્ય કરવા લાગે છે. કળિયુગમાં તેને માતા-પિતા સત્યની જાણ કરી આપતા નથી તેમ જ સમાજ પણ માયામાં સપડાયો હોવાથી સત્યનાં દર્શન કરાવી આપતો નથી. કેવળ ગુરુ, કે જેમને સત્યનો બોધ થયો છે, તેઓ જ તે જીવને સાધનામાર્ગ દ્વારા સત્યની અનુભૂતિ કરાવી આપે છે.

 

૨. ગુરુ મહાન કે દેવ ?

ગુરુ મહાન કે દેવને કહેવું મહાન કોને કરવા પ્રથમ નમન મારાં મનને તો ગુરુ મહાન જણાય જેમના કૃપાશીર્વાદ થકી ભગવાનનો ભેટો થાય ॥

હિંદુ સંસ્કૃતિમાં ગુરુદેવને ભગવાન કરતાંયે મોટું સ્થાન આપ્યું છે; કારણકે, ભગવાન નહીં, ગુરુદેવ સાધકને ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે પ્રત્યક્ષ સાધના શીખવે છે, તેની પાસેથી તે કરાવી લે છે અને તેને ઈશ્વરપ્રાપ્તિ પણ કરાવી આપે છે !

અ. ઈશ્વર અને ગુરુદેવનું કાર્ય એક જ !

ગુરુદેવ એટલે જાણે કેમ પૃથ્વી પર અવતરેલા ચાલતા-બોલતા ઈશ્વર જ ન હોય ! ભક્તો પર સદૈવ કૃપાનો વરસાદ વરસાવનારા ઈશ્વર, સંત-સજ્જનોનું રક્ષણ અને ધર્મરક્ષણ માટે અસુરો પર શસ્ત્રોનો માર પણ વરસાવે છે. અસુરમર્દન અને ધર્મરક્ષણ કરનારા ઈશ્વરનું અન્ય રૂપ આપણે ભૂલી જઈએ છીએ. અંત:કરણમાંથી ઈશ્વર સાથે એકરૂપ થયેલાં ગુરુદેવ ઈશ્વરના આ ક્ષાત્રકાર્યથી અળગાં કેમ રહી શકે ભલા ?

 

૩. રાષ્ટ્ર અને ધર્મરક્ષણની શીખામણ આપનારા ગુરુદેવના કાર્યનું સ્મરણ કરો !

૧. આર્ય ચાણક્યએ તક્ષશિલા વિદ્યાપીઠમાં ‘આચાર્ય’ પદપર નિયુક્ત થયા પછી તેમણે કેવળ વિદ્યાદાનમાં જ ધન્યતા માની લેવાને બદલે, ચંદ્રગુપ્ત જેવા અનેક શિષ્યોને ક્ષાત્ર-ઉપાસના કરવાનો મહામંત્ર પ્રદાન કરીને તેમની પાસેથી પારકાં ગ્રીક લોકોનું હિંદુસ્થાન પરનું આક્રમણ વખોડી કાઢ્યું અને હિંદુસ્થાનને એકસંઘ બનાવ્યો.

૨. પ્રત્યક્ષ પ્રભુ શ્રીરામચંદ્રજીનાં દર્શન થયેલાં સમર્થ રામદાસસ્વામી કેવળ રામનામના જપમાં રમમાણ થવાને બદલે, સમાજે બળ-ઉપાસના કરવી, તે માટે તેમણે અનેક ઠેકાણે હનુમાનજીની સ્થાપના કરી અને શિવાજી મહારાજજીને અનુગ્રહ આપીને તેમની પાસેથી ‘હિંદવી સ્વરાજ્ય’ની સ્થાપના કરાવી લીધી.

૩. વર્તમાન કાળમાં થઈ ગયેલા સ્વામી વરદાનંદ ભારતી અને મહાયોગી ગુરુદેવ કાટેસ્વામીજી, આ પણ તેવા જ મહાન ગુરુદેવ હતા. ધર્મ અને અધ્યાત્મની શીખામણ આપતી વેળાએ જ આ મહાપુરુષોની લેખણી બની તલવાર, તે કેવળ રાષ્ટ્ર અને ધર્મના કર્તવ્યો વિશે નિદ્રાધીન રહેલાં હિંદુ સમાજને જાગૃત કરવા માટે જ !

આવા તો કંઈ કેટલાયે ગુરુજનો છે કે, જેમણે પોતાના આચાર-વિચારો દ્વારા પોતાના શિષ્યો અને સમાજ સામે પણ રાષ્ટ્ર અને ધર્મ રક્ષણના પવિત્ર કાર્યનો આદર્શ મૂક્યો છે.

 

૪. ગુરુકૃપા એટલે શું ?

સાધના કરતાં કરતાં શિષ્યની, સાધકની સ્થિતિ ઉન્નત થતી જાય છે. ગુરુદેવના મનમાં તેના વિશે પ્રેમ નિર્માણ થઈને ‘તેની પ્રગતિ થવી જોઈએ’, એવું તેમને લાગે છે. આને જ ‘ગુરુકૃપા’ કહે છે. આ ગુરુકૃપા દ્વારા સાધકનો શરણાગત ભાવ વૃદ્ધિંગત થાય છે. આ ગુરુકૃપા તેના લોહી દ્વારા શરીરમાં કાર્ય કરવા લાગે છે. (જેવી રીતે ઇંજક્શન દ્વારા વહેલાં કાર્ય થાય છે, તે પ્રમાણે) તેની કુંડલિની શક્તિ જાગૃત થઈને તે તેનામાં રહેલા સ્વભાવદોષ અને અહમ્ ન્યૂન કરે છે. આવી રીતે તેને આનંદની અનુભૂતિ સતત થયા કરે છે. તેનો આધ્યાત્મિક સ્તર વધતા વધતા ગુરુ તેને પોતાની જેમ પરાત્પર ગુરુ કરે છે. પારસમણિના સ્પર્શથી લોઢુ પણ સુવર્ણમાં પરિવર્તીત થાય છે; પણ તેને પારસમણિ કરી શકાતો નથી; પણ ગુરુદેવનો મહિમા એવો છે કે, તે શિષ્યને પોતાના જેવો બનાવે છે.

 

૫. ગુરુદેવની કૃપા થવા માટે ગુરુદેવને જ શરણ જઈએ !

ગુરુપૂર્ણિમાના દિવસે કરેલી સેવાનું ફળ ૧ સહસ્ર ગણું હોય છે. પણ ગુરુપૂર્ણિમાની સેવા કેવળ એક દિવસ હોતી નથી, તે આખું વર્ષ હોય છે. ત્યારે સાધકોએ સમગ્ર વર્ષ દરમ્યાન ઈશ્વરી સેવા તરીકે કરેલા કાર્યની ફળશ્રુતિ ગુરુદેવ ગુરુપૂર્ણિમાને દિવસે આપણને અનુભૂતિ દ્વારા આપે છે; તેથી ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ, મહિમા અગાધ છે. માનવીજીવનનું સાર્થક કરનારો, જન્મમૃત્યુના ફેરામાંથી છોડાવનારો, ઈશ્વરપ્રાપ્તિ કરી આપનારો આ દિવસ છે. તેથી સાધના દ્વારા સતત ઈશ્વરની સેવા તરીકે કાર્ય કરતાં રહેવાથી ગુરુદેવની કૃપા થાય છે. તે થવા માટે ગુરુદેવને જ શરણ જઈએ !

અ. સાધનાનું મહત્ત્વ

સર્વોચ્ચ અને સાતત્યથી મળનારું સુખ એટલે આનંદ. ટૂંકમાં, આનંદપ્રાપ્તિ આ પ્રાણીમાત્રના જીવનનો એકમેવ હેતુ હોય છે. પણ તે કેવી રીતે મેળવવો, આ બાબત કોઈપણ શાળામાં અથવા મહાવિદ્યાલયમાં ભણાવવામાં આવતી નથી, તે કેવળ અધ્યાત્મશાસ્ત્ર જ શીખવે છે. આપણી આજુબાજુમાં, સમાજમાં અને દેશભરમાં થઈ રહેલો ભ્રષ્ટાચાર, ખૂન, બળાત્કાર, રમખાણો ઇત્યાદિ બાબતોથી આપણે હતાશ અને ઉદાસ બની જઈએ છીએ. તેની સામે સાક્ષીભાવથી કેવી રીતે જોવું, તે વિજ્ઞાન કહી શકતું નથી. આપણા જીવનમાંની અનંત અડચણો અને દુ:ખોનો ઉત્તર વિજ્ઞાન પાસે નથી. પણ અધ્યાત્મશાસ્ત્ર જ સર્વ સહન કરવાની ક્ષમતા કેવી રીતે વધારવી, તે આપણને શીખવે છે.

આ. ગુરુકૃપાયોગ અનુસાર સાધના

સ્થૂળ કરતાં સૂક્ષ્મ શ્રેષ્ઠ છે. અણુબૉંબ કરતાં પરમાણુબૉંબ પરિણામકારક હોય છે, તેવી રીતે જ ગુરુકૃપા સ્થૂળ કરતાં સૂક્ષ્મ દ્વારા અધિક કાર્ય કરે છે. કળિયુગમાં ‘ગુરુકૃપાયોગ અનુસાર સાધના’ આ ઝડપથી આધ્યાત્મિક ઉન્નતિ સાધ્ય કરી આપે છે. ગુરુકૃપાયોગમાં અન્ય સર્વ યોગ સમાયેલા હોય છે. ગુરુકૃપા અખંડ ટકાવી રાખવા માટે ગુરુદેવે કહેલી સાધના જીવનભર સાતત્યથી કરતાં રહેવાનું આવશ્યક હોય છે. એ જ ‘ગુરુકૃપાયોગ અનુસાર સાધના’ એમ છે !

‘વ્યક્તિ તેટલી પ્રકૃતિઓ અને તેટલા સાધનામાર્ગ’, આ ગુરુકૃપાયોગ અનુસાર સાધનાનો સિદ્ધાંત છે. ગુરુકૃપાયોગ અનુસાર સાધનાના પ્રમુખ તત્ત્વો આ પ્રમાણે છે.

૧. આવડત અને ક્ષમતા અનુસાર સાધના

૨. અનેકમાંથી એકમાં જવું

૩. સ્થૂળમાંથી સૂક્ષ્મ ભણી જવું

૪. સ્તર અનુસાર સાધના

૫. વર્ણ અનુસાર સાધના

૬. આશ્રમ અનુસાર સાધના

૭. કાળ અનુસાર સાધના

૮. તત્ત્વ અનુસાર સાધના.

ગુરુકૃપાયોગ અનુસાર સાધનામાં વ્યષ્ટિ સાધના (વ્યક્તિગત આધ્યાત્મિક પ્રગતિ માટે કરવાની સાધના) અને સમષ્ટિ સાધના (સમાજની આધ્યાત્મિક પ્રગતિ માટે કરવાની સાધના) આમ બે પ્રકારે સાધના કરવામાં આવે છે. વ્યષ્ટિ સાધનામાં કુળાચાર, ધર્માચરણ, સ્વભાવદોષ નિર્મૂલન, નામજપ, સત્સંગ, સત્સેવા, અહમ્-નિર્મૂલન, ત્યાગ, ભાવજાગૃતિ અને સાક્ષીભાવ આ સોપાન આવે છે, જ્યારે સમષ્ટિ સાધનામાં અધ્યાત્મપ્રસાર, રાષ્ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિ, ક્ષાત્રધર્મ, પ્રીતિ અને અનિષ્ટ શક્તિઓના ત્રાસના નિવારણાર્થે નામજપ આ તબક્કાઓ આવે છે. કાળને અનુસરીને વ્યષ્ટિ સાધનાને ૩૦ ટકા અને સમષ્ટિ સાધનાને ૭૦ ટકા મહત્ત્વ છે.

 

૬. ગુરુપૂજનની વિધિ

એક ધૂત વસ્ત્ર આગળ પાથરીને તેના પર ગંધ વડે પૂર્વથી પશ્ચિમ તરફ અને ઉત્તરથી દક્ષિણ તરફ એવી બાર લીટીઓ દોરાય છે. તે જ વ્યાસપીઠ છે. પછી બ્રહ્મા, પરાત્પરશક્તિ, વ્યાસ, શુકદેવ, ગૌડપાદ, ગોવિંદસ્વામી અને શંકરાચાર્યનું તે વ્યાસપીઠ પર આવાહન કરીને તેમની ષોડશોપચારે પૂજા કરાય છે. આ જ દિવસે દીક્ષાગુરુ અને માતાપિતાની પણ પૂજા કરવાનો રિવાજ છે. તામિળ પ્રદેશમાં આ વ્યાસપૂજા જેઠ પૂર્ણિમાને દિવસે કરે છે. કુંકોણમ્ અને શૃંગેરી આ શંકરાચાર્યના દક્ષિણ ભારતના પ્રસિદ્ધ પીઠો છે. આ સ્થાને વ્યાસપૂજાનો મહોત્સવ થાય છે.

ગુરુપરંપરામાં વ્યાસને સર્વશ્રેષ્ઠ ગુરુ માનવામાં આવ્યા છે. સર્વ જ્ઞાનનો ઉગમ વ્યાસ પાસેથી જ થાય છે, એવી ભારતીયોની ધારણા છે.

અ. ગુરુના કાર્યમાં સહભાગ

પોતાની ક્ષમતા અનુસાર સહભાગી થવું, એ જ ખરી ગુરુદક્ષિણા છે. ગુરુપૂર્ણિમાના નિમિત્તે ધર્મસેવા અને ધર્મ માટે યોગદાન કરીને ગુરુકૃપા પ્રાપ્ત કરવાનો આ સુર્વણ અવસર ખોઈ ન બેસશો.

 

૭. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુતત્ત્વનો અધિક લાભ લેવા માટે આ કરો !

૧. ગુરુસેવા અથવા ગુરુપૂર્ણિમા ઉત્સવકાર્યમાં યથાશક્તિ સહભાગી થાવ !

૨. પોતાના સગાંવહાલાં, મિત્રમંડળી, સહયોગી ઇત્યાદિને પણ ગુરુપૂર્ણિમા મહોત્સવ વિશે કહો અને સંસ્કૃતિરક્ષાના અખંડ દીપકની અમરજ્યોત બનો !

૩. ગુરુતત્ત્વ ગ્રહણ કરવા માટે નામજપ અને ગુરુને પ્રાર્થના કરો !

૪. ગુરુકાર્ય/ધર્મપ્રસારકાર્ય માટે ધન અથવા અન્ય સ્વરૂપે ત્યાગ કરો !

અ. ધર્મકાર્યમાં સહાભાગ એ જ સાચી ગુરુદક્ષિણા !

રાષ્ટ્ર તથા ધર્મકાર્ય હેતુ દાન જ ‘સત્પાત્રે દાન’ છે. આવું દાન ઈશ્વરચરણોમાં અર્પિત થવાથી તે ક્યારેય નિષ્ફળ જતું નથી. ધર્મકાર્યમાં આ સહભાગ ધર્માચરણ જ છે. ગુરુપૂર્ણિમાના કાર્યક્રમ હેતુ યોગદાન આપવું, ગુરુદક્ષિણા જ છે ! શ્રી ગુરુ દ્વારા અપાયેલા જ્ઞાન તેમજ કૃપાનું ઋણ આપણે ચૂકવી શકતા નથી.

આ. શરણાગતભાવ, શીઘ્ર આધ્યાત્મિક ઉન્નતિનો વિહંગમ માર્ગ !

સાધના જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ શિષ્યમાં ગુરુ પ્રત્યે શરણાગતભાવ વધતો જાય છે. આ અવસ્થામાં તેને ભાન રહે છે કે ‘ગુરુ જ બધું કરે છે અને તેઓ જ મારી પાસેથી સાધના કરાવી શકે છે.’ તેનાથી તેનો અહં ઘણો ઓછો થયો હોય છે. કર્તાપણાનો ભાવ પણ ઘટી ગયો હોય છે. હવે તે કેવળ સાધના સમયે નહીં, જ્યારે પ્રત્યેક કાર્ય કરતી વેળાએ ગુરુને અનુભવે છે. ગુરુ તેને પ્રત્યેક કાર્ય ક્યારે, કેવી રીતે કરવાનું છે ઇત્યાદિ બાબતો કહે છે અને તેની પાસેથી કરાવી પણ લે છે. તેથી, તે કોઈ યંત્રની જેમ જીવન વ્યતીત કરતો હોય છે. કોઈપણ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ ઇત્યાદિ બાબતો તે ગુરુને પૂછે છે અથવા ગુરુ જ પોતાની મેળે તેને કહે છે. આ રીતે તેના જીવનમાં ગુરુનું જ રાજ ચાલે છે. હવે, તેના મન અને બુદ્ધિનું કાર્ય અટકી જાય છે. આ રીતે ગુરુની સંપૂર્ણ શરણે ગયેલા શિષ્યને મોક્ષ મળે છે.

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘ગુરુ દ્વારા શિષ્યોને ભણાવવું અને ગુરુ-શિષ્ય સંબંધ’ (હિંદી ભાષામાં)

 

૮. આપત્‍કાલીન સ્‍થિતિમાં (કોરોનાની પાર્શ્‍વભૂમિ પર) ધર્મશાસ્‍ત્ર અનુસાર ગુરુપૂર્ણિમા ઊજવવાની પદ્ધતિ !

‘‘૫.૭.૨૦૨૦ના દિવસે વ્‍યાસપૂર્ણિમા, અર્થાત્ ગુરુપૂર્ણિમા છે. પ્રતિવર્ષ અનેક જણ ભેગા મળીને તેમના સંપ્રદાય અનુસાર ગુરુપૂર્ણિમા મહોત્‍સવ ઊજવે છે; પણ આ વર્ષે કોરોના વિષાણુનો પ્રાદુર્ભાવ થવાથી આપણે ભેગા મળીને ગુરુપૂર્ણિમા મહોત્‍સવ ઊજવી શકતા નથી. અહીં એક મહત્વનું સૂત્ર એમ છે કે, હિંદુ ધર્મએ આપત્‍કાળ માટે ધર્માચરણમાં કેટલાક પર્યાય કહ્યા છે. તેને ‘આપદ્ધર્મ’ કહે છે. આપદ્ધર્મ એટલે ‘આપદિ કર્તવ્‍યો ધર્મઃ।’ અર્થાત્ આપદામાં (આપત્તિમાં) આચરવાનો ધર્મ. વર્તમાનમાં કોરોનાની પાર્શ્‍વભૂમિ પર સમગ્ર દેશમાં અવર-જવર પ્રતિબંધ (લૉકડાઊન) છે. આ કાળમાં જ ગુરુપૂર્ણિમા આવતી હોવાથી સંપત્‍કાળમાં કહેલી પદ્ધતિથી આ વર્ષે સદર મહોત્‍સવના રૂપમાં આપણે એ ઊજવી શકીશું નહીં. આ દૃષ્‍ટિએ સદર લેખમાં વર્તમાન સ્‍થિતિમાં ધર્માચરણ તરીકે શું કરી શકાય, તેનો વિચાર અત્રે કરવામાં આવ્‍યો છે. અહીં મહત્વનું સૂત્ર એમ છે કે, હિંદુ ધર્મએ કયા સ્‍તર પર જઈને માનવીનો વિચાર કર્યો છે, એ શીખવા મળે છે. તેમાંથી હિંદુ ધર્મનું એકમેવાદ્વિતીયત્‍વ રેખાંકિત થાય છે.

 

અ. બધાએ પોતપોતાના  ઘરે ભક્તિભાવથી
ગુરુપૂજન  અથવા માનસપૂજા કરવાથી પણ લાભ મળી શકવો

ગુરુપૂર્ણિમાના દિવસે મોટાભાગના લોકો તેમના શ્રી ગુરુદેવને ત્‍યાં જઈને તેમના પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યક્ત કરે છે. પ્રત્‍યેકની શ્રદ્ધા અનુસાર કોઈ શ્રી ગુરુ, કોઈ માતા-પિતા, કોઈ વિદ્યાગુરુ (જેમણે આપણને જ્ઞાન આપ્‍યું, તે શિક્ષક), કોઈ આચાર્યગુરુ (આપણે ત્‍યાં પરંપરાગત પૂજા માટે આવનારા ગુરુજી), જ્‍યારે કોઈ મોક્ષગુરુ (જેમણે આપણને સાધનામાં દિશાદર્શન કર્યું, મોક્ષનો માર્ગ બતાવ્‍યો, તે શ્રી ગુરુ) પાસે જઈને તેમનાં ચરણોમાં કૃતજ્ઞતા વ્‍યક્ત કરે છે. આ વર્ષે કોરોના મહામારીની પાર્શ્‍વભૂમિ પર આપણે ઘરે રહીને ભક્તિભાવથી શ્રી ગુરુના છાયાચિત્રનું પૂજન અથવા માનસપૂજન ભાવપૂર્ણ રીતે કરવાથી પણ આપણને ગુરુતત્વ નો લાભ એક સહસ્ર ગણો થશે. પ્રત્‍યેકની શ્રદ્ધા અનુસાર ઉપાસ્‍યદેવતા, સંત અથવા શ્રી ગુરુ ભલે જુદા હોય, છતાં ગુરુતત્વ  એકજ હોય છે.

 

આ. સર્વ ભક્તોએ એકજ સમયે પૂજા કરવાથી સંગઠિત શક્તિનો લાભ થઈ શકવો

સંપ્રદાયમાંના સર્વ ભક્તોએ પૂજનનો સમય નક્કી કરીને બને ત્‍યાં સુધી તે જ સમયે પોત-પોતાના ઘરે પૂજન કરવું. ‘એકજ સમયે પૂજન કરવાથી સંગઠિત શક્તિનો વધારે લાભ મળે છે’, તે માટે સર્વાનુમતથી બને ત્‍યાં સુધી એક સમય નક્કી કરીને તે સમયે પૂજન કરવું.

અ. સવારનો સમય પૂજા માટે ઉત્તમ માનવામાં આવે છે. જેમને સવારે પૂજા કરવાનું બનતું હોય, તેમણે સવારનો સમય નક્કી કરીને તે સમયે પૂજા કરવી.

આ. કેટલાક અપરિહાર્ય કારણોસર જેમને સવારે પૂજા કરવી શક્ય ન હોય, તેમણે સાંજનો એકાદ સમય નક્કી કરીને તે સમયે; પણ સૂર્યાસ્‍ત પહેલાં, અર્થાત્ સાંજે ૭ કલાક પહેલાં પૂજા કરવી.

ઇ. જેમને નક્કી કરેલા સમયે પૂજા કરવાનું સંભવ નથી, તેમણે પોત-પોતાના સમય અનુસાર પણ સૂર્યાસ્‍ત પહેલાં પૂજા કરવી.

ઈ. પ્રત્‍યેકે પોત-પોતાના સંપ્રદાય અનુસાર શ્રી ગુરુ અથવા ઉપાસ્‍યદેવતાનું ચિત્ર, મૂર્તિ અથવા પાદુકાનું ઘરે પૂજન કરવું.

ઉ. ચિત્ર, મૂર્તિ અથવા પાદુકાને ગંધ (ચંદન) લગાડીને પુષ્‍પ ચડાવવું. ધૂપ, દીપ અને નૈવેદ્ય ધરીને પંચોપચાર પૂજા કરવી. પછી શ્રી ગુરુદેવની આરતી ઉતારવી.

ઊ. જેઓ સામગ્રીના અભાવથી પ્રત્‍યક્ષ પૂજા કરી શકતા નથી, તેમણે શ્રી ગુરુ અથવા ઉપાસ્‍યદેવતાની માનસપૂજા કરવી.

એ. ત્‍યાર પછી શ્રી ગુરુએ આપેલા મંત્રનો જપ કરવો. શ્રી ગુરુ આપણા જીવનમાં આવ્‍યા પછી થયેલી અનુભૂતિઓનું સ્‍મરણ કરીને તેમના પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યક્ત કરવી.

ઐ. એ સમયે ‘સમગ્ર વર્ષ દરમ્‍યાન આપણે સાધનામાં ક્યાં ઓછા પડ્યા ? આપણે શ્રી ગુરુની શિખામણનું કેટલા પ્રમાણમાં આચરણ કર્યું ?’ તેનું પણ સિંહાવલોકન કરીને તેનું ચિંતન કરવું.’

સૌજન્‍ય : સનાતન સંસ્‍થા