ધૂમપાન : શ્‍વસનતંત્રના રોગ પ્રતિબંધિત થઈ શકે તેવો આયુર્વેદિક ઉપચાર !

‘ધૂમ’ એટલે ‘ધુમાડો’ અને ‘પાન’ એટલે ‘પીવું’. ઔષધીયુક્ત ધુમાડો નાક-મોઢા દ્વારા અંદર લઈને મોઢામાંથી બહાર કાઢવો એને ‘ધૂમપાન’ કહે છે. શ્‍વસનતંત્ર સાથે સંબંધિત વાયુ (વા) અને કફના રોગ , ઉદા. શરદી ,ઉધરસ, દમ થાય નહીં અને જો તે થયા હોય તો ઝડપથી સાજા થઈ શકાય, તે માટે ‘ધૂમપાન’ (ઔષધીયુક્ત ધુમાડો લેવો)’ એવો ઉપાય કરવાનું જણાવ્‍યું છે.

 

૧. ધૂમપાન (ઔષધીયુક્ત ધુમાડો લેવો) કરવાની પદ્ધતિ

સવારે ઊઠીને દાંત માંજ્‍યા પછી તરત જ તેમજ રાતે સૂતા પહેલાં ઔષધીયુક્ત ધુમાડો નાક-મોં દ્વારા અંદર લેવો અને મોઢા વાટે બહાર કાઢવો. ધુમાડો નાક દ્વારા બહાર કાઢવો એ આંખો અને ઘ્રાણેંદ્રિય (ગંધ/સુગંધ ઓળખનારી ઇંદ્રિય) માટે નુકસાનકારક હોવાથી તે નાક દ્વારા બહાર કાઢવો નહીં. ‘ધુમાડો અંદર લઈને બહાર કાઢવો’ આ ક્રિયા એક સમયે કેવળ ત્રણ વાર કરવી. કેટલીક વાર શ્‍વસન માર્ગમાં વધારે કફ એકઠો થયો હોય તો, ૫ – ૬ વાર આ ક્રિયા કરી શકાય; પણ તેથી અધિક વાર એકજ સમયે ધુમાડો લેવાનું ટાળવું જોઈએ.

 

૨. ધૂમપાન કરતી સમયે લેવાની તકેદારી

ઉનાળો, તેમજ શરદઋતુમાં (એટલે ઑકટોબર માસમાં) બપોરના સમયે ધૂમપાન કરવું નહીં .

 

૩. ધૂમપાનના પ્રકાર, તે માટે ઉપયોગમાં લેવાની ઔષધીઓ અને તે બનાવવાની ક્રિયા

૩ અ. સ્‍નિગ્‍ધ (સૌમ્‍ય) ધૂમપાન

આ પ્રકારમાં ઘી અને સૌમ્‍ય ઔષધીઓનો ધુમાડો ઉપયોગમાં લેવાય છે. પ્રતિબંધાત્‍મક ઉપાય તરીકે આ પ્રકારના ધૂમનો ઉપયોગ હંમેશાં કરી શકાય. નીચે આપેલી  ક્રિયાઓમાંથી કોઈ પણ એક ક્રિયા કરી શકાય.

૧. ગેસ ઉપર સહેજ ઊંડો ચમચો અથવા ચમચી (આચમની) સહેજ ગરમ કરવી અને તે ગરમ થયા પછી તેમાં કપૂરના ટુકડા નાખીને તેમાથી નીકળનારી વરાળ સૂંધવી. (કપૂર જ્‍વલનશીલ પદાર્થ હોવાથી ગેસ ચાલુ રાખીને કપૂર નાખવું નહીં.)

૨. ગેસ ઉપર નાની કઢાઈ મૂકીને સારી એવી ગરમ કરીને ગૅસ બંધ કરવો અને પછી તેમાં ઘી નાખીને તેમાથી નીકળનારો ધુમાડો સૂંધવો.

૩. જેઠીમધની સળકડીને ધી લગાડીને તેને સળગાવવી. તે સળગ્‍યા પછી તેને ઓલવી નાખવી. એમ કરવાથી જે ધુમાડો નીકળે, તે સૂંઘવો.

૩ આ. તીક્ષ્ણ (તીવ્ર) ધૂમપાન

શ્‍વસન માર્ગમાં વધારે પ્રમાણમા કફ ભરાયો હોય તો તેને કાઢી નાખવા માટે આનો ઉપયોગ થાય છે. તે માટે નીચે જણાવેલી ક્રિયાઓમાંથી કોઈ પણ એક ક્રિયા કરવી.

૧. ઘી લગાડેલી હળદરની ગાંઠ બાળીને તેનો ધુમાડો લેવો અથવા કઢાઈમાં ઘી ગરમ કરીને તેમાં હળદરની ભૂકી નાખીને ધુમાડો લેવો.

૨. સ્‍વચ્‍છ સફેદ કાગળની ભૂંગળીમાં અજમાની ભૂકી ભરીને તેની ‘બીડી’ બનાવીને સળગાવીને તેનો ધુમાડો લેવો.

૩. ‘માન્‍સ પ્રોડક્‍ટસ’ આ કંપનીની ‘નિર્દોષ ધૂમપાન’ નામની આયુર્વેદિક ‘સિગારેટ’ મળે છે. એ આયુર્વેદિક ઔષધીઓના દુકાનોમાં, તેમજ લગભગ ઔષધીઓની દુકાનોમાં (મેડિકલ સ્‍ટોર્સમાં) મળે છે. આ તમાકુ વગરની સિગારેટમાં તુલસી, જેઠીમધ, હળદર ઇત્‍યાદિ જેવા ઔષધિ ઘટકો હોય છે. તેનો પણ ઉપયોગ કરી શકાય.’

– વૈદ્ય મેઘરાજ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૫.૫.૨૦૨૦)

 

  વિષાણુઓને કારણે શરદી, ઉધરસ જેવી
માંદગી થવાની શક્યતા હોય, તો પ્રતિદિન ધૂમપાન કરવાની સાથે
ઘરના વાતાવરણને શુદ્ધ કરવા માટે ધૂપન પણ (ધુમાડાથી શુદ્ધ કરવું) કરો !

ધૂપદાની

વિષાણુઓને કારણે શરદી, ઉધરસ જેવી માંદગી થવાની સંભાવના હોય તો  પ્રતિબંધાત્‍મક ઉપાય તરીકે, તેમજ એવી માંદગી થઈ હોય તો તે વહેલી સાજી થાય, એ માટે આ લેખમાં જણાવ્‍યા પ્રમાણે પ્રતિદિન ધૂમપાન કરવું. પ્રતિબંધાત્‍મક ઉપાય તરીકે ‘સ્‍નિગ્‍ધ (સૌમ્‍ય) ધૂમપાન’ અને શરદી અથવા ઉધરસ થઈ હોય તો ‘તીક્ષ્ણ (તીવ્ર) ધૂમપાન કરવું. આ સાથે ઘરના વાતાવરણના શુદ્ધિકરણ માટે સૂર્યોદય અને સૂર્યાસ્‍ત સમયે ધૂપદાનીમાં (એટલે ધૂપ કરવા માટે અંગાર મૂકીએ છીએ એ વાસણમાં. આ વાસણ માટીનું કે ધાતુનું બનેલું હોય છે.) અંગારા સળગાવીને તેના પર ધૂપ, લીમડાના પાંદડા, ડુંગળીની છાલ, અજમો, વેખંડ, દાલચીની (તજ), તુલસીના પાંદડા, ફૂદીનો આમાંથી કોઈ પણ પદાર્થ નાખીને તેનો ધુમાડો કરવો અને તે આખા ઘરમાં ફેરવવો. દેશી ગાયના છાણના છાણા બાળીને તેનો ધુમાડો પણ વાતાવરણના શુદ્ધિકરણ માટે ઉપયોગી માનવામાં આવ્‍યો છે. (ધુમાડાથી વાતાવરણ શુદ્ધ કરવું)એને આયુર્વેદમાં ‘ધૂપન’ કહે છે.

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment