કુળદેવીની ઉપાસના

વિવિધ સાધનામાર્ગોમાંથી શીઘ્ર આધ્યાત્મિક ઉન્નતિ કરી આપનારો સુલભ માર્ગ એટલે નામસંકીર્તનયોગ. ગુરુમંત્ર શ્રદ્ધાપૂર્વક જપવાથી મોક્ષપ્રાપ્તિ થાય છે; પણ જો નામ દેનારા કોઈ યોગ્ય ગુરુ ન મળે તો પોતાની કુળદેવતાનો, એટલે કુળદેવીનો અથવા કુળદેવનો જપ કરવો કેવી રીતે ઇષ્ટ હોય છે, એ નીચે આપેલી માહિતી પરથી ધ્યાનમાં આવશે.

 

કુળદેવતા શબ્દની વ્યુપત્તિ અને અર્થ

૧. કુળ એટલે આપ્તસંબંધોથી એકત્ર આવેલા એક લોહીના લોકો. જે કુળદેવતાની ઉપાસના આવશ્યક હોય છે તે કુળમાં વ્યક્તિ જન્મ લે છે.

૨. કુળ એટલે મૂલાધારચક્ર, શક્તિ અથવા કુંડલિની. કુળ + દેવતા, એટલે જે દેવતાની ઉપાસના કરવાથી મૂલાધારચક્રમાંની કુંડલિનીશક્તિ જાગૃત થાય છે, એટલે આધ્યાત્મિક પ્રગતિનો આરંભ થાય છે, એવી દેવતા.

 

ઇતિહાસ

કુળદેવતાની ઉપાસનાનો પ્રારંભ વેદોત્તરથી પુરાણ પૂર્વેના કાળમાં થયો. કુળદેવતાની સાધના કરીને આધ્યાત્મિક અને વ્યવહારિક ઉન્નતિ થઈ હોવાનું સર્વજ્ઞાત ઉદાહરણ એટલે છત્રપતિ શિવાજી મહારાજ. છ. શિવાજી મહારાજજીના ગુરુ સમર્થ રામદાસસ્વામીએ તેમને કુળદેવીની, ભવાનીમાતાની જ ઉપાસના કરવાનું કહ્યું હતું. સંત તુકારામ મહારાજજીએ જે પાંડુરંગ (વિઠ્ઠલ)ની અનન્ય ભક્તિ કરીને સદેહ મુક્તિ મેળવી, તે વિઠ્ઠલ તેમના કુળદેવ જ હતા.

 

મહત્ત્વ

૧. આપણે મોટી બીમારીમાં પોતાના મનથી દવા લેતા નથી. તે માટે તે ક્ષેત્રમાંની અધિકારી વ્યક્તિ પાસે, અર્થાત્ ડૉક્ટર પાસે જઈને તેમની સલાહ અનુસાર દવા લઈએ છીએ. તેવી જ રીતે ભવસાગરમાં અટવાઈ જવાની મોટી બીમારીમાંથી સાજા થવા માટે, એટલે જ કે, પોતાની આધ્યાત્મિક ઉન્નતિ થવા માટે, આધ્યાત્મિક દૃષ્ટિએ ઉન્નતોના માર્ગદર્શન અનુસાર સાધના કરવી આવશ્યક હોય છે. એવા ઉન્નત લોકો સમાજમાં ઘણાં ઓછાં હોય છે. ૯૮ ટકા કહેવાતા ગુરુ મૂળથી ગુરુ હોતા જ નથી. તેથી કયું નામ લેવું તે પ્રશ્ન હોય છે; પણ આ સંદર્ભમાં ભગવાને સહુકોઈની ઉત્તમ સગવડ કરી છે. પોતાની ઉન્નતિ માટે આવશ્યક એવા કુળમાં જ તેમણે આપણને જન્મ આપ્યો છે.

૨. જો આપણે માંદા પડીએ, તો આપણે હંમેશના (ફેમિલી) ડૉક્ટર પાસે જઈએ છીએ; કારણકે તેમને આપણી પ્રકૃતિ અને રોગોની માહિતી હોય છે. તેવી જ રીતે એકાદ કાર્યાલયમાં વહેલું કામ પાર પડે તે માટે ઓળખાણ ધરાવતી વ્યક્તિ દ્વારા કામ કરાવી લઈએ છીએ. તેવી જ રીતે તેત્રીસ કરોડ દેવોમાંથી આપણી કુળદેવતા આપણાં નજીકનાં છે, તે આપણા સાદને પ્રતિસાદ આપનારાં છે અને આપણી આધ્યાત્મિક ઉન્નતિ કરનારાં છે.

૩. બ્રહ્માંડમાં રહેલાં સર્વ તત્ત્વો પિંડમાં લાવીએ એટલે સાધના પૂર્ણ થઈ એમ હોય છે. બ્રહ્માંડમાં રહેલી સર્વ દેવતાઓની સ્પંદનલહેરો જેવી રીતે સર્વ પ્રાણીમાત્રોમાંથી કેવળ ગાયમાં આવી શકે છે (એટલા માટે જ ગાયના પેટમાં તેત્રીસ કરોડ દેવ હોય છે, એવું કહેવામાં આવે છે); તેમજ બ્રહ્માંડમાંનાં સર્વ તત્ત્વોને આકર્ષિત કરીને તે બધાયની ૩૦ ટકા સુધી વૃદ્ધિ કરવાનું સામર્થ્ય કુળદેવતાના નામજપમાં છે. આનાથી ઊલટું શ્રીવિષ્ણુ, શિવ, શ્રી ગણપતિ, જેવા દેવતાઓનો નામજપ કરવાથી તે તે દેવતાનું ઓછું રહેલું વિશિષ્ટ તત્ત્વ વધે છે, જેવી રીતે શક્તિવર્ધક તરીકે જીવનસત્ત્વ (વિટામિન) અ, બ ઇત્યાદિ લે છે.

૪. કુળદેવતા પૃથ્વીતત્ત્વનાં દેવતા હોવાથી તેમની ઉપાસનાથી જ સાધનાનો આરંભ કરવાથી કોઈપણ ત્રાસ થતો નથી. ક્ષમતા ન હોય તો પણ એકદમ તેજતત્ત્વની (ઉદા. ગાયત્રીમંત્રની) ઉપાસના કરવાથી ત્રાસ થઈ શકે છે. તેવું કુળદેવતાની ઉપાસના બાબતે થતું નથી.

૫. કુળદેવતા પૃથ્વીતત્ત્વની દેવતા હોવાથી તેની ઉપાસના કરવાથી પૃથ્વીતત્ત્વના લક્ષણ ગંધની અનુભૂતિ થોડા મહિના અથવા વર્ષોની ઉપાસનાથી થાય છે. તેને કારણે સાધના પરની શ્રદ્ધા વહેલી દૃઢ થાય છે. આનાથી ઊલટું તેજતત્ત્વની ઉપાસના કરનારાઓને ઘણાં વર્ષો સુધી ઉપાસના કર્યા પછી જ દર્શન થાય છે. મોટાભાગના લોકોની સાધનાની તીવ્રતા અને સમયગાળો ઓછો હોવાથી તેમને સૂક્ષ્મતત્ત્વની અનુભૂતિ વહેલા થતી નથી, તેથી તેઓ સાધના વચ્ચેથી જ છોડી દેવાનો સંભવ વધારે હોય છે.

૬. ગુરુ માતા ગુરુ પિતા ગુરુ અમારાં કુળદેવતા ॥ ૧ ॥

ઘોર સંકટો આવી પડે ગુરુ રક્ષે સર્વકાળ ॥ ૨ ॥

કાયા વાચા અને મન ગુરુચરણોમાં જ અર્પણ ॥ ૩ ॥

જનાર્દનનાં શરણે ગુરુ એક જનાર્દન ॥ ૪ ॥

– એકનાથ ગાથા, અંગ ૧૮૧૦ (મૂળ ભજન મરાઠીમાં)
(નોંધ ૧ – સંત એકનાથ મહારાજ)
(નોંધ ૨ – સંત એકનાથ મહારાજજીના ગુરુ શ્રી જનાર્દનસ્વામી)

૭. કુળદેવતા ગુસ્સે થવા

એકાદ વિદ્યાર્થી બુદ્ધિમાન હોવા છતાં પણ જો અભ્યાસ કરતો ન હોય, તો શાળાના શિક્ષકો તેને વઢે છે. તેવી જ રીતે એકાદ વ્યક્તિમાં આધ્યાત્મિક ઉન્નતિ કરવાની ક્ષમતા હોવા છતાં જો તે સાધના કરતી ન હોય, તો કુળદેવતા તેના પર ગુસ્સે થાય છે. આ ગુસ્સો તે વ્યક્તિને ધ્યાનમાં આવતો ન હોવાથી કુળદેવતા કેટલીક વ્યવહારિક અડચણો નિર્માણ કરે છે.

પુષ્કળ પ્રયત્ન કરવા છતાં પણ તેમનું નિવારણ કરવાનું ફાવ્યું ન હોવાથી તે વ્યક્તિ એકાદ ઉન્નતને તે સંદર્ભમાં પૂછે છે. પછી તે ઉન્નત કુળદેવતાની ઉપાસના કરવાનું કહે છે. તેવી ઉપાસનાનો આરંભ કર્યા પછી કુળદેવતા અડચણોનું નિવારણ કરે છે અને તે વ્યક્તિને ઉપાસના અંતર્ગત સહાયતા પણ કરે છે.

 

કુળદેવનો કે કુળદેવીનો નામજપ કરવો ?

૧. કેવળ કુળદેવ હોય તો કુળદેવનો અને કેવળ કુળદેવી હોય તો કુળદેવીનો નામજપ કરવો.

૨. એકાદને કુળદેવ અને કુળદેવી એમ બન્ને હોય તો તેણે નીચે જણાવેલાં કારણોસર કુળદેવીનો નામજપ કરવો.

અ. નાનપણમાં આપણે માતા-પિતા બન્ને હોય તો પણ માતા પાસે જ વધારે હઠ કરીએ છીએ; કારણકે માતા હઠપૂર્તિ વહેલી કરે છે. તેવી જ રીતે કુળદેવ કરતાં કુળદેવી વહેલાં પ્રસન્ન થાય છે.

આ. કુળદેવી કુળદેવ કરતાં પૃથ્વીતત્ત્વ સાથે વધારે સંબંધિત છે.

ઇ. પરાત્પર ગુરુએ આપેલું નામ પ્રગતિ માટે ૧૦૦ ટકા, કુળદેવીનું ૩૦ ટકા, જ્યારે કુળદેવનું ૨૫ ટકા પૂરક હોય છે.

૩. એકાદની કુળદેવતા ગણેશપંચાયતન અથવા વિષ્ણુપંચાયતન પ્રકારની હોય, તો પંચાયતનમાંની પ્રમુખ દેવતા ક્રમવાર શ્રી ગણેશ અથવા શ્રીવિષ્ણુને કુળદેવતા સમજવું.

૪. જો કુળદેવતા જ્ઞાત ન હોય, તો કુટુંબમાંની વડીલ વ્યક્તિ, એક જ અટક ધરાવતી વ્યક્તિ, ગામની વ્યક્તિ, પુરોહિત ઇત્યાદિ પાસેથી કુળદેવતાની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવો. તેવી માહિતી જો ઉપલબ્ધ ન થાય તો મનગમતા દેવતાનો જપ કરવો અથવા ‘શ્રી કુલદેવતાયૈ નમ:’ એવી રીતે નામજપ કરવો. તે પૂર્ણ થયા પછી કુળદેવતાનું નામ કહેનારાનો ભેટો થાય છે. કેવળ ‘શ્રી કુળદેવતાયૈ નમ:’ એવો નામજપ કરવો, તેમાં રૂપની કલ્પના ન હોવાથી, ઘણાં લોકોને કઠિન લાગે છે. આનાથી ઊલટું મનગમતા દેવતાનું રૂપ હોવાથી તેમનો નામજપ કરવો સુલભ લાગે છે.

 

કુળદેવતાનો નામજપ કરવાની પદ્ધતિ

કુળદેવતાના નામ આગળ ‘શ્રી ’ લગાડવું, સંસ્કૃત વ્યાકરણ અનુસાર નામને ચતુર્થીનો પ્રત્યય લગાડવો અને અંતે નમ: બોલવું, ઉદા. કુળદેવતા જો ગણેશ હોય, તો ‘શ્રી ગણેશાય નમ:, કુળદેવતા જો ભવાની હોય, તો ‘શ્રી ભવાન્યૈ નમ:’ બોલવાનું કઠિન હોવાથી ‘દેવ્યૈ’ પ્રત્યય લગાડીને ‘શ્રી ભવાનીદેવ્યૈ નમ:’ એમ બોલવું.

 

સાસરિયાં કે પિયરની કુળદેવતાનું નામ લેવું ?

સર્વસામાન્ય રીતે વિવાહ થયા પછી સ્ત્રીનું નામ પલટાય છે. પિયરના સર્વેનો ત્યાગ કરીને સ્ત્રી સાસરે જાય છે. એક રીતે જોતા તે તેનો પુનર્જન્મ જ હોય છે; તેથી વિવાહ થયા પછી સ્ત્રીએ સાસરિયાની કુળદેવતાનું નામ લેવું. પણ જો એકાદ સ્ત્રી નાનપણથી નામજપ કરતી હોય અને પ્રગત સાધક હોય તો તેણે પહેલાંનો જ નામજપ ચાલુ રાખવામાં વાંધો નથી. તેને જો વિવાહ પહેલાં ગુરુએ નામજપ આપ્યો હોય તો તે જ નામજપ તેણે ચાલુ રાખવો.

નામજપ કેટલો કરવો ? 

કુળદેવતાનો નામજપ પ્રતિદિન ન્યૂનતમ (ઓછામાં ઓછો) ૧ થી ૨ કલાક અને વધારેમાં વધારે એટલે સતત કરવો.

ફળ

કુળદેવતાનો આવશ્યક એટલો નામજપ પૂર્ણ થાય પછી, ગુરુ પોતે સાધકના જીવનમાં આવીને ગુરુમંત્ર આપે છે.

સંદર્ભ : સનાતન નિર્મિત ગ્રંથ ‘શક્તિ (ભાગ ૨) શક્તિની ઉપાસના’