ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસના

શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કેવી રીતે કરવું ?

ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવા પહેલાં ઉપાસકે પોતાને મધ્યમાથી, અર્થાત્ વચલી આંગળીથી બે ઊભી લીટીનું ચંદન લગાડવું અથવા ભરચક ઊભું ચંદન લગાડવું.શ્રીકૃષ્ણ ભગવાનની પૂજામાં તેમની પ્રતિમાને ચંદન લગાડવા માટે ગોપીચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરતી વેળાએ તેમને ટચલી આંગળીની પાસેની આંગળી, અર્થાત્ અનામિકાથી ચંદન લગાડવું. શ્રીકૃષ્ણ ભગવાનને હળદર-કંકુ ચઢાવતી વેળાએ પહેલા હળદર અને પછી કંકુ જમણા હાથનો અંગૂઠો અને અનામિકાની ચપટીમાં લઈને ચરણો પર ચઢાવવું, અંગૂઠો અને અનામિકા જોડવાથી થનારી મુદ્રાને કારણે પૂજકના શરીરમાં રહેલા અનાહતચક્રની જાગૃતિ થાય છે. તેથી ભક્તિભાવ નિર્માણ થવામાં સહાયતા થાય છે.

 

શ્રીકૃષ્ણ ભગવાનને  તુલસી  શા માટે ચડાવે છે ?

દેવતાના પવિત્રકો અર્થાત્ દેવતાના સૂક્ષ્માતિસૂક્ષ્મ કણ. જે વસ્તુઓમાં વિશિષ્ટ દેવતાઓના પવિત્રકો આકર્ષિત કરવાની ક્ષમતા અન્ય વસ્તુઓ કરતાં વધારે હોય, તેવી વસ્તુઓ ભગવાનને ચઢાવાથી, સહજતાથી દેવતાની મૂર્તિમાં દેવતાનું તત્ત્વ આવે છે અને તેથી દેવતાના ચૈતન્યનો લાભ આપણને વહેલો થાય છે. તે માટે જ શ્રીકૃષ્ણ ભગવાનને તુલસી ચઢાવાય છે. તુલસીમાં કૃષ્ણતત્ત્વ પુષ્કળ પ્રમાણમાં હોય છે. કાળી તુલસી શ્રીકૃષ્ણના મારક તત્ત્વનું, જ્યારે લીલા પાંદડા ધરાવતી તુલસી, એ શ્રીકૃષ્ણના તારક તત્ત્વનું પ્રતીક છે.

 

શ્રીકૃષ્ણ ભગવાનને કયા ફૂલો ચઢાવવા ?

કૃષ્ણકમળના ફૂલોમાં શ્રીકૃષ્ણના પવિત્રકો આકર્ષિત કરવાની ક્ષમતા સૌથી વધારે હોવાથી આ ફૂલો શ્રીકૃષ્ણને ચઢાવવા. દેવતાનાં ચરણોમાં ફૂલો વિશિષ્ટ સંખ્યામાં અને વિશિષ્ટ આકારમાં ચઢાવવાથી તે ફૂલો ભણી દેવતાનું તત્ત્વ વહેલું આકર્ષિત થાય છે. તે અનુસાર શ્રીકૃષ્ણ ભગવાનને ફૂલો ચઢાવતી વેળાએ તે ત્રણ અથવા ત્રણગણાં અને લંબગોળાકાર આકારમાં ચઢાવવા. શ્રીકૃષ્ણ ભગવાનને અત્તર ચઢાવતી વેળાએ ચંદનનું ચઢાવવું.

 

શ્રીકૃષ્ણ  ભગવાનને  કેટલી પ્રદક્ષિણા  ફરવી ?

શ્રીકૃષ્ણ ભગવાન ઇચ્છા, ક્રિયા અને જ્ઞાન આ ત્રણેય શક્તિઓના સ્તર પર કાર્ય કરે છે. તેના દર્શક તરીકે શ્રીકૃષ્ણ ભગવાનને ઓછામાં ઓછી ત્રણ અથવા ત્રણગણી પ્રદક્ષિણા ફરવી. પ્રત્યેક પ્રદક્ષિણા પછી દેવતાને નમસ્કાર કરીને પછી જ આગળની પ્રદક્ષિણા ફરવી. અધિક પ્રદક્ષિણા જો ફરવાનું થાય, તો બને ત્યાં સુધી તે સંખ્યાગણી પ્રદક્ષિણાઓ ફરવી. પ્રદક્ષિણા ફરવાથી દેવતા પાસેથી પ્રક્ષેપિત થનારું ચૈતન્ય અલ્પકાલાવધિમાં સંપૂર્ણ શરીરમાં સંક્રમિત થાય છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત લઘુગ્રંથ  ‘શ્રીકૃષ્ણ’