અનુક્રમણિકા
‘ફળ-જ્યોતિષશાસ્ત્ર એ ગ્રહ, રાશિ અને કુંડળીમાંનાં સ્થાનો આ ૩ મૂળભૂત ઘટકો પર આધારિત છે. આ ૩ ઘટકોને કારણે ભવિષ્યમાં દિશાદર્શન કરવું સંભવ થાય છે. આ ૩ ઘટકોનો ટૂંકમાં પરિચય આ લેખ દ્વારા કરી લઈએ.
૧. ગ્રહ
ગ્રહ એટલે ‘ગ્રહણ કરવું’. ગ્રહ નક્ષત્રો દ્વારા આવનારી સૂક્ષ્મ ઊર્જા ગ્રહણ કરે છે, તેથી તેમને ‘ગ્રહ’ કહેવામાં આવે છે. ગ્રહોમાં ‘બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ’ આ ૫ ગ્રહો મુખ્ય છે અને તે પંચમહાભૂતોના પ્રતિનિધિ છે. રવિ આ આત્મા સાથે અને ચંદ્ર એ મન સાથે સંબંધિત ગ્રહો છે. ગ્રહોનાં તત્ત્વો અને ગ્રહ કઈ બાબતો સાથે સંબંધિત છે, તે નીચેની સારણીમાં આપ્યું છે.
| ગ્રહ | તત્ત્વ | ગ્રહ સાથે સંબંધિત બાબતો |
|---|---|---|
| ૧. બુધ | પૃથ્વી | બુદ્ધિ, વાણી, વેપાર, સ્થૈર્ય |
| ૨. શુક્ર | જળ | કામના, સૌખ્ય, કળા, સમૃદ્ધિ |
| ૩. ચંદ્ર | જળ | મન, સ્વભાવ, વાત્સલ્ય, ઔષધિ |
| ૪. મંગળ | અગ્નિ | પરાક્રમ, શૌર્ય, નેતૃત્વ, ઉદ્યોગ |
| ૫. રવિ | અગ્નિ | આરોગ્ય, વિદ્યા, અધિકાર, કીર્તિ |
| ૬. શનિ | વાયુ | સંશોધન, તત્ત્વજ્ઞાન, વ્યાધિ, ક્ષય |
| ૭. ગુરુ | આકાશ | જ્ઞાન, વિવેક, સાધના, વ્યાપકતા |
બુધ, શુક્ર અને ચંદ્ર આ ગ્રહો ‘પૃથ્વી’ અને ‘જળ’ આ તત્ત્વો સાથે સંબંધિત હોવાથી તે વ્યક્તિના કુટુંબ, કલત્ર (જોડીદાર, સાથીદાર), સ્વભાવ, સ્થૈર્ય અને સૌખ્ય માટે અનુકૂળ હોય છે. રવિ, મંગળ અને શનિ આ ગ્રહો ‘અગ્નિ’ અને ‘વાયુ’ તત્ત્વો સાથે સંબંધિત હોવાથી તે વ્યક્તિનું કાર્યક્ષેત્ર, કર્તૃત્વ, ઉત્કર્ષ અને પ્રતિષ્ઠા માટે અનુકૂળ હોય છે. ગુરુ ગ્રહ ‘આકાશતત્ત્વ’ સાથે સંબંધિત હોવાથી તે સર્વદૃષ્ટિએ અનુકૂળ હોય છે, તેમજ આધ્યાત્મિક ઉન્નતિ માટે પૂરક પુરવાર થાય છે.
૨. રાશિ
પૃથ્વી જે માર્ગથી સૂર્ય ફરતે ભ્રમણ કરે છે, તે માર્ગને ‘ક્રાંતિવૃત્ત’ કહે છે. ક્રાંતિવૃત્તના ૧૨ સમાન વિભાગ એટલે રાશિ. પ્રત્યેક રાશિમાં સવા બે નક્ષત્રો હોય છે. રાશિઓ સ્થિર હોય છે; પરંતુ પૃથ્વી પોતાના ફરતે ભ્રમણ કરતી હોવાથી રાશિચક્ર ફરી રહ્યું છે, તેમ લાગે છે. જન્મકુંડળીમાં પ્રથમ સ્થાનમાં આવેલી રાશિને ‘લગ્નરાશિ’ અને ચંદ્ર જે રાશિમાં હોય, તેને ‘જન્મરાશિ’ કહેવાય છે. આ બન્ને રાશિઓ વ્યક્તિના વ્યક્તિત્વ પર વિશેષ પરિણામ કરે છે. લગ્નરાશિ એ વ્યક્તિનો મૂળ પિંડ (પ્રકૃતિ) દર્શાવે છે, જ્યારે જન્મરાશિ એ વ્યક્તિની સ્વભાવ-વિશિષ્ટતાઓ દર્શાવે છે.
૨ અ. જન્મરાશિ અનુસાર વ્યક્તિમાં સામાન્ય રીતે જોવા મળતી વિશિષ્ટતાઓ
| જન્મરાશિ | તત્ત્વ | વ્યક્તિમાં સામાન્ય રીતે જોવા મળતી વિશિષ્ટતાઓ |
|---|---|---|
| ૧. મેષ | અગ્નિ | શૌર્ય, મહત્ત્વાકાંક્ષા, કાર્યતત્પરતા, ગતિશીલતા |
| ૨. વૃષભ | પૃથ્વી | સ્થિરતા, સુખવસ્તુતા, વ્યવહાર-કુશળતા |
| ૩. મિથુન | વાયુ | ચંચળતા, વાક્ચાતુર્ય, સમન્વય-કુશળતા |
| ૪. કર્ક | જળ | ભાવનાપ્રધાનતા, સંગોપનશીલતા, કર્તવ્યદક્ષતા |
| ૫. સિંહ | અગ્નિ | વિદ્વત્તા, તત્ત્વનિષ્ઠતા, અધિકારીવૃત્તિ, ઉદારતા |
| ૬. કન્યા | પૃથ્વી | કલાપ્રિયતા, ચિકિત્સકવૃત્તિ, નિયોજન-કુશળતા |
| ૭. તુલા | વાયુ | આકલનશક્તિ, કાર્યપ્રવીણતા, સેવાભાવ |
| ૮. વૃશ્ચિક | જળ | ધૈર્ય, ગુપ્તતા, સ્વમત પર દૃઢ, સ્પષ્ટ બોલવું |
| ૯. ધનુ | અગ્નિ | વિવેક, ન્યાયપ્રિયતા, વિદ્યાવ્યાસંગ, ધર્મપરાયણતા |
| ૧૦. મકર | પૃથ્વી | સતત કાર્યમગ્ન, નવનિર્મિતિ, ચિકાટી, પરિશ્રમી |
| ૧૧. કુંભ | વાયુ | સંશોધકવૃત્તિ, તત્ત્વજ્ઞાની વિચારસરણી, અનાસક્તિ |
| ૧૨. મીન | જળ | ભક્તિપરાયણ, પરોપકાર, સજ્જનતા, લોકપ્રિયતા |
ગ્રહ તેને પૂરક એવા ગુણધર્મ રહેલી રાશિમાં હોય, ત્યારે બળવાન બને છે અને પ્રકર્ષતાથી ફળ આપે છે, ઉદા. અગ્નિતત્ત્વનો મંગળ ગ્રહ અગ્નિતત્ત્વની મેષ રાશિમાં પ્રકર્ષતાથી ફળ આપે છે. આનાથી ઊલટું, ગ્રહ તેને પ્રતિકૂળ એવા ગુણધર્મ રહેલી રાશિમાં હોય, ત્યારે નિર્બળ બને છે.
૩. કુંડળીમાંનાં સ્થાનો
કુંડળીમાંનાં સ્થાનો એટલે દિશાઓના સમાન વિભાગ. કુંડળીમાં કુલ ૧૨ સ્થાનો હોય છે. જે રીતે દિશા તેમનું સ્થાન છોડતી નથી, તેવી જ રીતે કુંડળીમાંનાં ૧૨ સ્થાનો બદલાતા નથી; સ્થાનોમાંની રાશિઓ પલટાય છે. જીવનમાંની પ્રત્યેક બાબતનો વિચાર કોઈકને કોઈક તોયે સ્થાન પરથી થાય છે. કુંડળીમાંનાં ૧૨ સ્થાનો પરથી અભ્યાસ કરવામાં આવનારી બાબતોની જાણકારી આગળની સારણીમાં આપી છે.
| સ્થાન | સ્થાનો સાથે સંબંધિત બાબતો |
|---|---|
| ૧. પ્રથમ | શરીરપ્રકૃતિ, વ્યક્તિત્વ |
| ૨. દ્વિતીય | સ્થાવર સંપત્તિ, કુટુંબ, વાણી |
| ૩. તૃતીય | બુદ્ધિ, કૌશલ્ય, ભાંડુઓ |
| ૪. ચતુર્થ | માતા, ગૃહ, વાહન, સુખ |
| ૫. પંચમ | વિદ્યા, ઉપાસના, સંતતિ |
| ૬. ષષ્ઠ | વિકાર, વ્યાધિ, શત્રુ |
| ૭. સપ્તમ | કામના, વૈવાહિક જીવન |
| ૮. અષ્ટમ | આયુષ્ય, સિદ્ધિ, યોગસાધના |
| ૯. નવમ | પુણ્ય, ભાગ્ય, દૈવી આશીર્વાદ |
| ૧૦. દશમ | કર્મ, ઉદ્યોગ, પિતા, પ્રતિષ્ઠા |
| ૧૧. એકાદશ | આર્થિક લાભ, લોકસંગ્રહ |
| ૧૨. દ્વાદશ | ત્યાગ, આધ્યાત્મિક ઉન્નતિ |
૩ અ. ચાર પુરુષાર્થો સાથે સંબંધિત સ્થાનો અને સ્થાનોનું સ્વરૂપ
હિંદુ ધર્મ અનુસાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ માનવી જીવનનાં ઉદ્દેશો છે. કુંડળીમાંનાં ૧૨ સ્થાનો પરથી આ ૪ પુરુષાર્થોનો વિચાર કરવામાં આવે છે, અર્થાત્ તે પુરુષાર્થ સાધ્ય કરવા માટે ભાગ્યની અનુકૂળતા કેટલી છે, તેનો વિચાર કરવામાં આવે છે. પુરુષાર્થ સાથે સંબંધિત કુંડળીમાંનાં સ્થાનો અને સ્થાનોનું સ્વરૂપ નીચે આપેલી સારણીમાં આપ્યું છે.
| પુરુષાર્થ | સંબંધિત સ્થાનો | ||
|---|---|---|---|
| ભૌતિક | માનસિક | આધ્યાત્મિક | |
| ૧. ધર્મ | પ્રથમ | પંચમ | નવમ |
| ૨. અર્થ | દશમ | દ્વિતીય | ષષ્ઠ |
| ૩. કામ | સપ્તમ | એકાદશ | તૃતીય |
| ૪. મોક્ષ | ચતુર્થ | અષ્ટમ | દ્વાદશ |
સ્થાનોનાં ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક સ્વરૂપ એ પુરુષાર્થ સાધ્ય કરી લેવામાંના સોપાનો દર્શાવે છે, ઉદા. મોક્ષ સ્થાનોમાંનું ‘ચતુર્થ’ સ્થાન એ કુળાચારોનું પાલન કરવું, તહેવાર-ઉત્સવો ઊજવવા ઇત્યાદિ પ્રાથમિક સ્વરૂપની સાધના દર્શાવે છે; ‘અષ્ટમ’ સ્થાન એ જપ, તપ, અનુષ્ઠાનો ઇત્યાદિ સકામ સ્વરૂપની સાધના દર્શાવે છે; જ્યારે ‘દ્વાદશ’ સ્થાન એ તન-મન-ધનનો ત્યાગ, ગુરુસેવા, અધ્યાત્મપ્રસાર ઇત્યાદિ નિષ્કામ સ્વરૂપની સાધના દર્શાવે છે.’
શ્રી. રાજ કર્વે, જ્યોતિષ વિશારદ, ગોવા. (૨૦.૧.૨૦૨૩)
નખ કયા વારે કાપવા, તેની પાછળનો જ્યોતિષશાસ્ત્રીય દૃષ્ટિકોણ
વ્યક્તિગત અને સામાજિક સ્તર પર જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ
નૈસર્ગિક કાળવિભાગ : વર્ષ, અયન, ઋતુ, માસ અને પક્ષ
નવગ્રહોની ઉપાસના કરવા પાછળનો ઉદ્દેશ અને તેમનું મહત્ત્વ !
જ્યોતિષશાસ્ત્ર : કાળની અનુકૂળતા અને પ્રતિકૂળતા વિશદ કરનારું શાસ્ત્ર !
ચંદ્રોદય ક્યારે થાય છે ?