પ્રસ્તાવના
વૈશ્વિક ઇતિહાસમાં અનેક સંસ્કૃતિઓ ઉદય પામી અને કાલાંતરમાં વિલીન થઈ ગઈ, જે રીતે ગ્રીક, રોમન સંસ્કૃતિઓ ઇત્યાદિ; પરંતુ રાજનીતિક સંઘર્ષ, વિદેશી આક્રમણ, પ્રાકૃતિક આપત્તિઓનો સામનો કરીને એકમેવ જે સંસ્કૃતિ આજે પણ અકબંધ છે, એ સનાતન સંસ્કૃતિ છે. ‘સનાતન’નો અર્થ છે શાશ્વત, ચિરંતન અને નિત્ય નવીન તત્ત્વ. સનાતન ધર્મએ નિરંતર જ વિશ્વકલ્યાણની સંકલ્પના માંડી છે. આ જ ભારતની આત્મા છે. જ્યારે સનાતન ધર્મનું અનુસરણ થતું હતું, ત્યારે ભારત વૈભવના શિખર પર હતું. પરંતુ ગત કેટલાક દાયકામાં સનાતન ધર્મને જાણીજોઈને ઉપેક્ષિત અને ઉપહાસાત્મક રૂપમાં પ્રસ્તુત કરવાના પ્રયત્ન કેટલાક લોકો કરી રહ્યા છે. આનું દુષ્પરિણામ એમ થયું કે પારિવારિક, માનસિક, સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય સ્તર પર અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ. વર્તમાનમાં કેટલાક સંગઠનો અને વ્યક્તિઓ આંતરરાષ્ટ્રીય શક્તિઓના પ્રભાવ હેઠળ આવીને સનાતન ધર્મને સમાપ્ત કરવાનું કાવતરું રચી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સનાતન ધર્મના રક્ષણ માટે ભગવાન (ઈશ્વર), દેશ અને ધર્મની સેવા કરનારી વ્યક્તિઓ, સંસ્થાઓ અને સંગઠનોનું સંગઠન અને જાગૃતિ અત્યાવશ્યક છે. સનાતન ધર્મની પુનર્સ્થાપનાથી જ રામરાજ્ય રૂપી તેજસ્વી રાષ્ટ્રનું નિર્માણ સંભવ છે. આ ઉદ્દેશ્યથી ગોવામાં 17 થી 19 મે સુધી ‘સનાતન રાષ્ટ્ર શંખનાદ’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સનાતન રાષ્ટ્રની સંકલ્પના
સનાતન સિદ્ધાંત મૂળમાં જ બધાનું કલ્યાણ કરનારું, વ્યક્તિની ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિ કરાવી લેનારું તેમજ સર્વસમાવેશક છે. આ કોઈ એક જાતિના સમુદાય સુધી સીમિત હોવાને બદલે સંપૂર્ણ માનવજાતિ માટે ઉપયોગી છે. આ સિદ્ધાંત ન્યાય, સમાનતા, નીતિ, યોગ, સાધના ઇત્યાદિ પર આધારિત છે. વેદ, ઉપનિષદ, ગીતા, રામાયણ, મહાભારત, જ્ઞાનેશ્વરી જેવા ધર્મગ્રંથોમાં આ જ તત્ત્વોનું દર્શન થાય છે. સનાતન રાષ્ટ્ર આ સિદ્ધાંતો પર આધારિત એક આદર્શ, કલ્યાણકારી રાષ્ટ્ર હશે. ટૂંકમાં ત્રેતાયુગના રામરાજ્યનું કલિયુગીન રૂપ જ ‘સનાતન રાષ્ટ્ર’ છે.
વર્તમાન સ્થિતિ અને ધર્માધિષ્ઠતાનું મહત્ત્વ
આજની ધર્મનિરપેક્ષ વ્યવસ્થામાં ગો, ગંગા, ગીતા, તુલસી, મઠ-મંદિર જેવા સનાતન પ્રતીકો પર હંમેશા આઘાત થઈ રહ્યા છે. આધુનિકતા અને અભિવ્યક્તિ સ્વતંત્રતાના નામ પર સનાતન શ્રદ્ધાસ્થાનોનો ઉપહાસ કરવામાં આવી રહ્યો છે. હિંદુ પરંપરાઓ અને આચરણોને અંધશ્રદ્ધા કહીને નકારવામાં આવી રહ્યા છે. વૈદિક વિજ્ઞાનને ‘છદ્મ વિજ્ઞાન’ કહીને અપકીર્તી કરવામાં આવી રહી છે.
પારિવારિક સ્તર પર જોવામાં આવે તો આજે દેવીસ્વરૂપ નારી પણ સુરક્ષિત નથી. કુટુંબમાં પરસ્પર પ્રેમ અને સંગઠન ઓછું થઈ ગયું છે. માનવી ભૌતિક રીતે સમૃદ્ધ થઈને પણ માનસિક રીતે દુર્બળ થઈ ગયો છે. સંકટોનો સામનો કરવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે. એનું મૂળ કારણ છે – ધાર્મિક આચરણ, સાધના અને ઉપાસનાનો અભાવ.
ધર્મ એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિનો આધાર છે. ધર્મવિહોણુ ભારત કેવળ ભૂગોળ થઈને રહેશે. જો ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસની પરંપરા જાળવી રાખવી હોય, તો ધર્મનું રક્ષણ અનિવાર્ય છે.
સનાતન રાષ્ટ્રની આવશ્યકતા
જો આજે ધર્મ પર થઈ રહેલા પ્રહારોના વિરોધમાં જાગૃતિ આવી છે અને રક્ષણ માટે ચળવળ ચાલી રહી છે, તો પણ હિંદુત્વ પર થનારા પ્રહાર પૂરી રીતે થોભી નથી ગયા. ‘પ્લેસીસ ઑફ વર્શીપ ઍક્ટ’ જેવા કાળા કાયદાઓએ વિદેશી આક્રમણકારો દ્વારા તોડવામાં આવેલા મંદિરોના પુનર્નિર્માણનો માર્ગ રોકી રાખ્યો છે. હાલમાં જ સંશોધિત વક્ફ કાયદાથી થોડો નિયંત્રણ આવ્યો હોવા છતા અત્યારે પણ કેટલાક ધાર્મિક સ્થળોની ભૂમિ ધર્માંધોના અવૈધ નિયંત્રણમાં છે. ઘૂસણખોરીનું સંકટ એટલું તો ગંભીર છે કે દેશનો કેટલોક હિસ્સો જુદો થવાની આશંકા ઉત્પન્ન થઈ છે.
હાલની વ્યવસ્થા ધર્મ અને રાષ્ટ્ર પર થઈ રહેલા પ્રહાર રોકવા માટે અસમર્થ છે. તેથી સનાતન રાષ્ટ્રની આવશ્યકતા અતિ આવશ્યક થઈ ગઈ છે. દેશનો વિકાસ કેવળ જીડીપી તંત્રથી નથી થઈ રહ્યો, પરંતુ ધર્મને લીધે થાય છે (‘धर्मेण जयति राष्ट्रम्’). તેથી ભારતીય સંસ્કૃતિમાં સોનાની લંકાની પૂજા નથી થતી પણ શ્રીરામના રામરાજ્યની પૂજા કરવામાં આવે છે.
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીની દૂરદષ્ટિ
આજે સનાતન આ શબ્દ વ્યાપક ચર્ચાનો વિષય બની ગયો છે અને હિંદુ રાષ્ટ્રની માગણી પણ તીવ્ર થતી જાય છે. સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ આજથી 27 વર્ષ પહેલાં જ, જ્યારે ‘હિંદુ’ શબ્દનું ઉચ્ચારણ પણ સાહસનો વિષય હતો, ત્યારે ‘ઈશ્વરી રાજ્યની સ્થાપના’ નામનો ગ્રંથ લખીને આધ્યાત્મિક રાષ્ટ્રરચનાની સંકલ્પના આપી હતી. આ સંતોની દૂરદૃષ્ટિનો પુરાવો છે.
આજ સુધી સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ ધર્મ, અધ્યાત્મ, સાધના ઇત્યાદિ વિષયો પર 380થી અધિક ગ્રંથોનું સંકલન કર્યું છે અને ભારતીય સંસ્કૃતિની કલા-વિદ્યાના પુનરુદ્ધાર માટે કેટલાક ઉપક્રમ ચાલુ કર્યા છે. હિંદુત્વ પર થઈ રહેલા પ્રહારોને જનતા સુધી પહોંચાડવા માટે એમણે ‘સનાતન પ્રભાત’ નામનો પ્રખર હિંદુત્વવાદી વર્તમાનપત્ર ચાલુ કર્યો. એમની પ્રેરણાથી હિંદુ એકતાના વિવિધ આંદોલન પણ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યા છે. દેશ-વિદેશમાં આ કાર્યનો ઝડપથી વિસ્તાર થવો, એમના દૈવી કાર્યની પુષ્ટિ કરે છે.
સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ
સનાતન સંસ્થાનો રજત મહોત્સવ અને સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના જન્મોત્સવ નિમિત્તે આયોજિત ‘સનાતન રાષ્ટ્ર શંખનાદ’ કેવળ એક ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમ હોવાને બદલે તે ધર્મ અને રાષ્ટ્રરક્ષણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પડાવ છે.
આ ભારતના ઉજ્જવલ ભવિષ્યની ઉદ્દઘોષણા છે. આ અવસર પર ધર્મસેવા માટે કાર્યશીલ અને ગતિશીલ થવું, રાષ્ટ્રરચના અર્થાત્ ધર્મસંસ્થાપનામાં સહભાગી થવા જેવું છે. આ જ વર્તમાન યુગની શ્રેષ્ટ સાધના પણ છે.
સંકલક : શ્રી. ચેતન રાજહંસ, રાષ્ટ્રીય પ્રવક્તા, સનાતન સંસ્થા