વૃક્ષારોપણ કેવી રીતે કરવું ?

Article also available in :

૧. વૃક્ષારોપણ કરતી વેળાએ યજુર્વેદમાંની ઋચા બોલવી

अपो देवीरुपसृज मधुमतीः, अयक्ष्माय प्रजाभ्य: ।

तासाम् आस्थानात् उज्जिहताम्, ओषधय: सुपिप्पला: ॥

– યજુર્વેદ, અધ્યાય ૧૧, કણ્ડિકા ૩૮

અર્થ 

હે અગ્નિદેવ, લોકો નિરોગી રહે, તે માટે તમે આરોગ્યદાયી જળદેવતાને અહીં લઈ આવો. જળદેવતાએ સિંચન કરેલી આ ભૂમિમાંથી ફળ-ફૂલોથી સમૃદ્ધ એવી વનસ્પતિઓ ઉગવા દો, એવી આપના ચરણોમાં પ્રાર્થના છે. વૃક્ષારોપણ કરતી વેળાએ યજુર્વેદમાંની આ ઋચા મન:પૂર્વક બોલવાથી તે વૃક્ષ દીર્ઘાયુષી અને ફળસમૃદ્ધ બને છે. વૃક્ષારોપણ કરવા માટે કરેલા ક્યારામાં મંત્રપૂર્વક પાણી પ્રોક્ષણ કરવું. ઝાડના મૂળિયા અને તેના અગ્રો પર પણ મંત્રપાઠ કરતા કરતા પાણી છાંટવું.

સૌ. પ્રાજક્તા જોશી

 

૨. બાગ અથવા વૃક્ષારોપણ કરવા માટે શુભ નક્ષત્રો

ઘર ફરતે બગીચો કરવો હોય અથવા વૃક્ષારોપણ કરવું હોય, તો તે હંમેશાં અશ્વિની, રોહિણી, મૃગ, પુષ્ય, ઉત્તરા, હસ્ત, ચિત્રા, વિશાખા, અનુરાધા, ઉત્તરાષાઢા, શતતારકા, ઉત્તરા ભાદ્રપદા અને રેવતી નક્ષત્રો પર શુભ વાર હોય ત્યારે કરવું.

 

૩. વૃક્ષારોપણ સંદર્ભમાં મહત્વની સૂચના

સ્મશાન, માર્ગ, તપસ્વીઓના આશ્રમ, નદીઓના સંગમ, આ ઠેકાણે ઉગેલી વૃક્ષવલ્લી, વાદળને કારણે પડી ગયેલી વૃક્ષ-લતાઓ, સૂકાઈ ગયેલા રોપ અથવા ઝાડ, તેમજ રોગી વ્યક્તિએ લાવી આપેલાં ફૂલો અથવા ફળોના રોપ ક્યારે પણ વાવવા નહીં.

 

૪. કઈ દિશામાં કયું ઝાડ વાવવું ?

પૂર્વ દિશામાં ઔદુંબર (ઉમરડો), પશ્ચિમમાં પીપળો અને દક્ષિણ દિશામાં ઔદુંબર વૃક્ષો હોવા શુભદાયક હોય છે. પૂર્વ દિશામાં ચમેલી, ચંપો, પીળી કેતકી, ધોળો ગુલાબ, લાલ ફૂલો ધરાવતાં વૃક્ષો, નારિયેળ, લિંબૂ, સોપારી, જાંબુડા અને કેરી આ વૃક્ષો વાવવા.

 

૫. ઘરની પાસે કઈ વેલો અને વૃક્ષો વાવવા ?

અ. બીલી, શમી, અશોક, નાગકેસર, ચંપો, દાડમ આ વૃક્ષો અને ગુલાબ, ચમેલી તેમજ કેતકી આ ફૂલઝાડ વાવવા શુભદાયક હોય છે.

આ. કેસર, અશોક (આસોપાલવ), માલતી, જાસૂદ, ચંદન, તજ, નારિયેળ અને ફણસ આ વૃક્ષો ઘરની કોઈપણ દિશામાં વાવીએ, તો પણ શુભદાયક હોય છે.

ઇ. તુલસીના રોપ અને દુર્વા (ધરો) વધારે પ્રમાણમાં વાવવાથી તેનાં સકારાત્મક પરિણામ મળે છે. તુલસી અને કડવા લીમડાના વૃક્ષો વાસ્તુમાં વધારે પ્રમાણમાં હોય તો પ્રાણવાયુનો પુરવઠો થાય છે.

ઈ. પારિજાતક, કરેણ અને વાદળી ફૂલો ધરાવનારી વેલો, ઉદા. ગોકર્ણ, કૃષ્ણકમળ ઇત્યાદિ ઈશાન દિશામાં હોવાથી શુભ પરિણામ મળે છે. તે દિશામાં કમળપીઠ અને ફૂવારા હોવા શુભ હોય છે.

ઉ. લૉન (લીલોતરી), નાના આકારના લંબાઈમાં ન વધનારા વૃક્ષો, ઔષધી ગુણોથી યુક્ત નાના છોડ, સુશોભિકરણ માટેના વૃક્ષો, સુવાસિત ફૂલોના રોપ, ઉદા. જાઈ, જૂહી, શેવંતી, ગુલાબના ફૂલોનો જથ્થો ઇત્યાદિ પૂર્વ અથવા ઉત્તર દિશામાં વાવવા.

ઊ. ઘરગથ્થુ વાટિકા (બગીચો) ઉત્તર અથવા વાયવ્ય વિસ્તારમાં કરવી.

એ. જામફળનું ઝાડ ઉત્તર દિશામાં વાવવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

ઐ. સોનેરી ચંપો, મોગરા (ડોલર) જેવાં ધોળાં સુવાસિત ફૂલઝાડ વાયવ્ય ભાગમાં વાવવા. તેનાથી મન પ્રસન્ન થાય છે.

ઓ. દાડમના રોપ પ્લોટની ઉત્તર દિશામાં કોઈપણ માસના સુદ પક્ષમાં હસ્ત નક્ષત્રમાં વાવવા. દાડમના ઝાડમાં લક્ષ્મીજીનો વાસ હોય છે.

ઔ. મીઠા લીમડાનું ઝાડ પૂર્વ અને અગ્નેય દિશામાં વાવવું.

અં. બદામનું ઝાડ અગ્નેય વિસ્તારમાં સુદ પક્ષના ઉત્તરા નક્ષત્રમાં વાવવાથી સમૃદ્ધિ થાય છે.

ક. ઔદુંબર વૃક્ષ દક્ષિણમાં હોય તો શુભ ફળ મળે છે; કારણકે આ વૃક્ષમાં ગુરુતત્વ હોય છે. તેથી દક્ષિણ દિશામાંથી આવનારી યમલહેરો નષ્ટ થાય છે.

ખ. ઘરનું પ્રવેશદ્વાર અથવા કંપાઊંડ ગેટ ભીડ રહેલા રસ્તાથી નજીક હોય તો ત્યાં કેળાનું ઝાડ  વાવવું નહીં. આ ઝાડમાં વાતાવરણમાંની નકારાત્મકતા શોષી લેવાની ક્ષમતા વધુ હોવાથી તે નકારાત્મકતા વાસ્તુની અરતે-ફરતે ફેલાય છે.

 

૬. કઈ દિશામાં કયા વૃક્ષો ન વાવવા અને વાવવાથી થનારાં દુષ્પરિણામ

અ. અગ્નેય દિશામાં ઔદુંબર, પાકર, લાલ ફૂલોનાં અથવા કાંટા ધરાવતા વૃક્ષો વાવવા નહીં. તેને કારણે મૃત્યુ અથવા અન્ય હાનિ થવાની શક્યતા હોય છે.

આ. પૂર્વ દિશામાં પીપળો, પશ્ચિમમાં વડલો, ઉત્તરમાં ઔદુંબર અને દક્ષિણમાં પાકર વૃક્ષો વાવવા નહીં. આ અશુભ હોય છે. તેને કારણે વ્યક્તિનો ઉત્કર્ષ થતો નથી.

ઇ. પૂર્વ દિશામાં પીપળો વાવવાથી બીક વધે છે.

ઈ. પશ્ચિમ દિશામાં વડલો વાવવાથી તેના ધણી અથવા કુટુંબીજનોને કોઈને કોઈ પ્રકારનો ત્રાસ થાય છે.

ઉ. ઉત્તર દિશામાં ઔદુંબરનું વૃક્ષ રોપવાથી તે ઘરમાં રહેનારી વ્યક્તિને આંખોની બીમારીની શક્યતા રહે છે.

ઊ. ઘર પાસે પીળા રંગનાં ફૂલોનું ઝાડ અશુભ હોય છે.

એ. ઘર પાસે બોર, બાવળિયો, ઝાંખરાં, થોર અથવા કોઈપણ પ્રકારના કાંટા ધરાવતા રોપ હોવા જોઈએ નહીં. આ ઝાડના કાંટા નકારાત્મક ઊર્જા પ્રસારિત કરે છે. તે અનિષ્ટ શક્તિઓનું બળસ્થાન હોય છે. તેને કારણે અકારણ શત્રુત્વ નિર્માણ થઈને કુટુંબીજનોમાં વાદવિવાદ થાય છે, મન ઉદ્વિગ્ન બને છે અને ઘરમાં સમૃદ્ધિ આવતી નથી.

ઐ. શમી, કડવો લીમડો અને બીલી વૃક્ષ ઘરની પાછળની બાજુએ થોડા અંતર પર હોવા જોઈએ; પણ ઘરની નજીક અથવા ઘરની સામે હોવા જોઈએ નહીં.

ઓ. ક્ષિરવૃક્ષ અર્થાત્ જે ઝાડમાંથી ચીક ઝરે છે, એવા ઝાડ વાવવાથી ધનનો નાશ સંભવે છે, ઉદા. આંકડાનું ઝાડ, ખાસ કરીને જાંબડા રંગનું આંકડાનું ઝાડ વાસ્તુ ફરતે ક્યારેય વાવવું નહીં.

ઔ. કોઈપણ વૃક્ષનો પડછાયો દિવસના એક પ્રહર પછી, અર્થાત્ સવારે ૯ કલાક પછી ઘર પર પડવો જોઈએ નહીં.

અં. નિળંબી અને દારૂ હળદરના ઝાડ (દારૂ હળદર એ હળદરનો એક પ્રકાર છે.) ઘરની જગ્યામાં વાવવા નહીં. આ ઝાડ ખેતરમાં વાવવા. તેને કારણે સંપત્તિ અને સંતતિનો નાશ થાય છે.

ક. કેળા, ચીકુ, આમલી, સરગવો, જાંબુડા અને પપૈયા જેવા અનેક બીજ ધરાવનારા ઝાડ વાવવાથી પૈસો ટકતો નથી, આર્થિક ખેંચ થાય છે; તેથી આ વૃક્ષો ઘરની જગ્યામાં વાવવા નહીં.

ખ. ઘરની નજીકમાં પૂર્વ દિશામાં મોટા ઝાડ વાવવા નહીં; કારણકે તેને કારણે ઘરમાં સૂર્યપ્રકાશ આવતો નથી. સૂર્યપ્રકાશ ન આવવાથી ઘરમાંની વ્યક્તિઓની રોગપ્રતિકારક ક્ષમતા ઘટે છે.

ગ. પ્લોટમાં જાંબુડાનું ઝાડ વાવવું નહીં. જાંબુડાના બીજનો લોહીમાંની સાકર ઓછી કરવા માટે ઔષધી ઉપયોગ કરવામાં આવે છે, અર્થાત્ લોહીમાંની સાકર (મીઠાશ) ઓછી થાય છે. તેને કારણે જાંબુડાનું ઝાડ જો વાસ્તુમાં હોય, તો કુટુંબમાં વાદવિવાદ થાય છે.

 

૭. વૃક્ષો ક્યારે કાપવા ?

ભાદરવો અથવા મહા મહિનામાં કોઈપણ ઝાડ કાપીએ, તો પણ ચાલે. સિંહ અથવા મકર રાશિમાં સૂર્ય હોય તે સમયે ક્યારે પણ વૃક્ષતોડ કરવી નહીં. પુનર્વસુ, અનુરાધા, હસ્ત, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, સ્વાતી અને શ્રવણ આ નક્ષત્રો વૃક્ષ કાપવા માટે શુભદાયી છે.

 

૮. કોઈપણ વૃક્ષ કાપવું હોય તો શું કરવું ?

કોઈપણ ઝાડ કાપવું હોય તો પ્રથમ શાસનની અનુમતિ લેવી. અનુમતિ મળ્યા પછી ઝાડ તોડવાની આગલી રાત્રે તે ઝાડને નૈવેદ્ય ધરાવીને ક્ષમાયાચના કરવી. હે વૃક્ષ, કેટલાંક અપરિહાર્ય કારણોને લીધે તમને કાપવું પડે છે, તે માટે ક્ષમા કરશો. યોગ્ય સ્થાન પર આપનું એક વૃક્ષ હું અવશ્ય વાવીશ, એમ બોલીને સંકલ્પ કરવો. બીજા દિવસે ઝાડની પૂજા કરીને ઉત્તર અથવા પૂર્વ દિશામાંથી ઝાડ કાપવું. ઝાડ કાપ્યા પછી તે પૂર્વ અથવા ઉત્તર દિશામાં પડે, એ જોવું.

– સૌ. પ્રાજક્તા જોશી, વાસ્તુ વિશારદ, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય, જ્યોતિષ વિભાગ પ્રમુખ, ગોવા.

Leave a Comment