અનુક્રમણિકા
આયુર્વેદમાં આઠ પ્રકારના પ્રાણીઓના દૂધનું તથા દહીંનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં આપણે કેવળ ગાયનાં દૂધમાંથી નિર્માણ કરવામાં આવેલા દહીંના ગુણ જોઈશું.
૧. દહીંના ગુણધર્મ
- ભોજનમાં સ્વાદ નિર્માણ કરે છે.
- ભૂખ વધારે છે, બળ વધારે છે.
- ખાટો રસ ધરાવતું તથા ગરમ છે.
- અડધું-પડધું મેળવણ કરેલું દહીં પચવામાં ભારે તથા કૃમિ (કરમિયાં) પેદા કરનારું છે. તેથી તેનું સેવન કરવું નિષિદ્ધ છે.
![](https://static.sanatan.org/wp-content/uploads/sites/9/2022/03/05081430/curd_700.jpg)
અ. કપડામાંથી ગાળેલું દહીં (ઘાઠું દહીં )
આ વાત (વાયુ) ઓછો કરનારું, કફ વધારનારું, અતિ ચીકણું, ભોજનમાં સ્વાદ નિર્માણ કરનારું, પચવામાં ભારે છે. તેથીજ શ્રીખંડ જે ઘાટાં દહીંમાંથી બને છે તે ચરબીયુક્ત અને કફ રોગ ગ્રસ્ત હોય છે. જેઓને ભૂખ લાગતી નથી એવી વ્યક્તિઓએ તેનું સેવન કરવું નહીં.
આ. દધિ સાર (દહીં પરની મલાઈ)
પચવામાં ભારે, બળ આપનારી છે, પરંતુ જેઓની પાચનશક્તિ સારી છે તેઓએે જ આ સેવન કરવું.
ઇ. અસાર દહીં (મલાઈ વિનાનું)
પચવામાં હળવું, રુક્ષ ગુણ ધરાવતું, વાત વધારનારું અને કબજીયાત કરનારું છે.
ઈ. મસ્તુ (દહીં ઉપરનું પાણી)
તરસ, શ્રમ, રુચિહિનતા દૂર કરનારું છે, મળ (વિષ્ટા) ભેદીને તેને બહાર કાઢનારું, શરીરમાં રહેલાં સ્રોતસ ખુલ્લાં કરનારું છે. પરંતુ ખાટું તૂરું રસ અને આવૃષ્ય (શુક્રાણું માટે અયોગ્ય) હોવાથી એનું હંમેશા સેવન કરવું નહીં.
– વૈદ્ય શાર્દુલ ચવ્હાણ
૨. શું આયુર્વેદની દૃષ્ટિએ દહીં ખરાબ હોય છે ?
દહીં આયુર્વેદનો મોટો શત્રુ છે, એવું અનેક જણાને લાગે છે. વાસ્તવમાં માત્ર તેમ બિલકુલ નથી. ‘સારી રીતે મેળવેલું તરનું દહીં શરીરને સ્ગિન્ધતા આપે છે, જીભનો સ્વાદ વધારે છે, વાત ઓછો કરે છે અને શુક્રધાતુ વધારે છે’, એમ આયુર્વેદ કહે છે.
સાવ મોળું દહીં ઘણાં લોકો રુચિથી ખાતા હોય છે. તે સ્વાદમાં મીઠું હોવાથી સારું, એવી તેમની સમજ હોય છે; પણ વાસ્તવમાં જે વસ્તુ પૂર્ણ દહીં પણ નહીં અને દૂધ પણ નહીં, એવી ત્રિશંકુ વસ્તુ આરોગ્ય માટે સારી કેવી રીતે હોઈ શકે ? પેઢી દર પેઢીએ થયેલી ગેરસમજમાંથી ઉત્તમ ગણવામાં આવી રહ્યું હોવા છતાં પણ સાવ મોળું દહીં ખાવું નહીં. તે શરીરમાંના ત્રણેય દોષ વધારે છે.
![](https://static.sanatan.org/wp-content/uploads/sites/9/2022/03/02120402/Parikshit_shevade.jpg)
૩. દહીં અને ગોળ ભેગા લેવાથી શું થાય છે ?
![](https://static.sanatan.org/wp-content/uploads/sites/9/2022/03/02122129/Dahi_Gul_3201.png)
स्नेहनं तर्पणं हृद्यं वातघ्नं सगुडं दधि ॥ – ચરકસંહિતા સૂત્ર ૨૭/૨૭૮
દહીં અને ગોળ આ મિશ્રણ શરીરનું પોષણ અને સ્નિગ્ધતા નિર્માણ કરનારું, તેમજ મનને આનંદ પ્રદાન કરનારું તેમજ વાત ઓછો કરનારું છે. એમ ભલે હોય, તો પણ આ મિશ્રણનું નિયમિત સેવન કરવાથી જંતુ અથવા ત્વચાવિકાર થઈ શકે છે. તે માટે જ નિયમિત વ્યાયામ કરનારી વ્યક્તિઓએ વચ્ચે વચ્ચે આ મિશ્રણનું સેવન કરવામાં વાંધો નથી.
૪. દહીં સેવન કરવાના નિયમો
અ. દહીં ગરમ પદાર્થોમાં ભેળવવું યોગ્ય નથી !
દહીં ખાતી વેળાએ સારી રીતે વલોવી લેવું. તેમ કરવાથી તે પચવામાં સહેલું થાય છે. તેમાં ખાંડ, મીઠું, મરીની ભૂકી અથવા આમળાની ભૂકી નાખીને સેવન કરવાથી તે દહીં નડતું નથી. દહીં ગરમ પદાર્થોમાં ભેળવવું નહીં. દૂધની જેમ જ તે પણ બગડી જાય છે અને ભલે બગડે નહીં, તો પણ કેટલાક હાનિકારક ઘટક ઉત્પન્ન કરે છે. તેથી ‘દહીં + ગરમ’ આ સમીકરણ જ ટાળવું.
આ. દહીં અને લસ્સી ઉષ્ણ !
સૌથી મહત્ત્વનું સૂત્ર, એટલે પચવામાં ભારે રહેલું દહીં એ ઠંડું નહીં પણ ઉષ્ણ છે ! પછી તેને કારણે શરદી કેવી રીતે થાય ? ઘણું કરીને દહીં ખાટું હોય અથવા આપણી પ્રકૃતિ કફની હોય અથવા નાના બાળકો હોય, તો જ કફનો ત્રાસ થઈ શકે છે, અન્યથા નહીં. લસ્સી પણ દહીંમાંથી જ બનાવવામાં આવે છે તેથી તે પણ ઉષ્ણ જ હોય છે. તો પછી શરદીનો ત્રાસ મીઠી એવી લસ્સીથી કેવી રીતે થાય ? કારણ મૂળમાં જ લસ્સી આ પદાર્થ મીઠો બને છે તે ખાંડને કારણે. તે લસ્સીનો મૂળ સ્વાદ નથી ! તેમાં પાછું પાણી ભેળવવાથી તેમાંનો જલાંશ વધવાથી આ પદાર્થથી શરદી થઈ શકે છે. એમ ભલે હોય તો પણ લસ્સી ઉષ્ણ છે. જેવી રીતે લીલું મરચું શીતકબાટમાં (‘ફ્રીજ’માં) રાખવાથી તે ‘ઠંડું’ છે એમ આપણે કહેશું ખરાં ? બરાબર આ રીતે જ અહીં પણ છે.
ઇ. દહીં પ્રતિદિન ખાવાનું ટાળો !
દહીં કેલ્શિયમથી માંડીને શરીરને ઉપયુક્ત એવા બૅક્ટેરિયા સુધીની વિવિધ બાબતોનો ઉત્તમ સ્રોત છે, એવું કોઈ ભલે ગમે તેટલું બરાડીને કહે, તો પણ ‘નિયમિત’ અર્થાત્ પ્રતિદિન ભૂલ્યા વિના તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને મધુમેહ (ડાયબિટિસ), સોજો, પીસીઓડી (માસિક ધર્મ), સ્થૂલતા આમાંથી કોઈપણ સમસ્યા હોય તો દહીં ઓછામાં ઓછું અથવા ન ખાવું જ યોગ્ય ! બાકી ઉપરોક્ત કાળજી લઈને દહીં ખાવું. તેનાથી શરીર પર સારું પરિણામ દેખાઈ આવશે અને કોઈપણ આડઅસર થશે નહીં.
ઈ. રાત્રે સેવન કરવાનું ટાળશો !
દહીં ‘નિયમિત રીતે’ અને રાત્રે આરોગવાનો પદાર્થ નથી, આ દહીં આરોગવા બાબતનો મૂળભૂત નિયમ છે.
– વૈદ્ય પરીક્ષિત શેવડે, આયુર્વેદ વાચસ્પતિ, ડોંબિવલી.