આયુર્વેદ : સમજ અને ગેરસમજ

વૈદ્ય પરીક્ષિત શેવડે

 

 ૧.  શું આયુર્વેદ ખાંડને ‘ધોળું ઝેર’ માને છે?

ના ! આયુર્વેદમાં ‘ઇક્ષુવર્ગ’ અર્થાત્ શેરડીથી બનાવેલા પદાર્થોના વર્ગમાં ખાંડનો સમાવેશ થાય છે. ગોળ પર પ્રક્રિયા કરીને ખાંડ બનાવવામાં આવતી હોવાનો ઉલ્‍લેખ પ્રાચીન આયુર્વેદના ગ્રંથોમાં છે. આનો અર્થ ખાંડ બનાવવાની પ્રક્રિયા ભારતીઓને ઘણા સમય પહેલાંથી જ્ઞાત હતી, આ પણ ઐતિહાસિક દૃષ્‍ટિએ મહત્વનું છે.

सिता सुमधुरा रुच्‍या वातपित्तास्रदाहहृत् ।

मूर्च्‍छाच्‍छर्दिज्‍वरान्‍हन्‍ति सुशीता शुक्रकारिणी ॥

– ભાવનાપ્રકાશનિઘંટુ, પૂર્વખંડ, ઇક્ષુવર્ગ, શ્‍લોક ૩૦

અર્થ : ખાંડ મધુર, રુચિ ઉત્‍પન્‍ન કરનારી, વાત, પિત્ત અને લોહીનો દાહ શમાવનારી, ચક્કર, ઊલટી, તાવમાં લાભદાયક, ઠંડક અને શુક્ર વધારનારી છે !

આજના કાળમાં સલ્‍ફરનો ઉપયોગ કરીને ગાળેલી ખાંડ આપણે નિયમિત વાપરીએ છીએ, તેના માટે ‘ફોસ્‍ફોરિક એસિડ’ વાપરીને ગાળેલી ખાંડ અથવા ખાંડસારી આ એક ઉત્તમ પર્યાય છે. જેમને હંમેશની ખાંડથી દમ ઇત્યાદિ ત્રાસ થાય છે, તેમના માટે ખાંડસારી ઉપયુક્ત છે. ઔષધિઓમાં ઉપયોગ કરતી વેળાએ ગાંગડાસાકર જ વાપરવી અપેક્ષિત હોય છે.

 

૨. સાપ ડસે તો આયુર્વેદ પાસે ઉત્તર છે ખરો ?

આયુર્વેદના આઠ ભાગોમાં સમાયેલા ‘અગદતંત્ર’ શાખામાં સાપ, વિંછી, અન્‍ય ઝેરીલા પ્રાણી કે કીડા, તેમજ અન્‍નવિષ બાધા અથવા તત્સમ ઝેરનું વર્ણન અને ઉપચાર કહ્યા છે. આચાર્ય ચરકે સર્પઝેર પર ૨૪ વિવિધ ઉપક્રમો વિશદ કરી રાખ્‍યા છે. તેમાં જ ‘અરિષ્‍ટાબંધન’ અર્થાત્ આજે જેને ‘ટોરનિક્વેટ’ બાંધવું (જેથી કરીને ઝેર સર્વ શરીરમાં ફેલાવાનો વેગ ઓછો થઈ જાય) તેનો પણ સમાવેશ થાય છે.

આયુર્વેદમાં ‘ઝેર’ આ શબ્‍દની વ્‍યાપ્‍તિ ઘણી મોટી છે. દુર્દૈંવથી આજે આયુર્વેદ સ્‍વતંત્ર રીતે ઉપચાર કરી શકતો નથી. તેને કારણે જ પાસેના પ્રાથમિક આરોગ્‍ય કેંદ્રમાં સર્પદંશ થયેલી વ્‍યક્તિને લઈ જવી યોગ્‍ય છે. તો પણ પ્રત્‍યેક ગામડામાં આજે પણ કેટલાક સ્‍નાતક વૈદ્યો કટોકટીના પ્રસંગોમાં અથવા ઘણીવાર ‘એંટીસ્‍નેક વેનમ’ (સાપ ડસ્‍યા પછી સતર્કતાના ઉપાય તરીકે આપવામાં આવતું ઔષધ) ઉપલબ્‍ધ ન હોય, ત્‍યારે આવા ઉપચાર આપે છે. ‘અઘેડાનો ક્ષાર ઝેર ન્‍યૂન કરવામાં ઉપયુક્ત છે’, એવું વૈદ્યતીર્થ અપ્‍પાશાસ્‍ત્રી સાઠેએ તેમના પુસ્‍તકમાં કહ્યું છે. સર્પગંધા વનસ્‍પતિ વાવવાથી સાપ આવતા ન હોવાથી આજે પણ ગામડામાં ઘર નજીક અથવા ગમાણ પાસે તેનું વાવેતર કરવાનો રિવાજ છે.

 

૩.  કેટલાક રુગ્‍ણોને ‘આથો
આવેલા પદાર્થોમાં ઢોસો ચાલશે; પણ
ઇડલી ન લેવી’, એવું શા માટે કહેવામાં આવે છે. ?

કેટલાક રુગ્ણોને ‘આથો આવેલા પદાર્થો ટાળવા જોઈએ’, એમ કહ્યા પછી ‘કદાચ ઢોસો ચાલશે; પણ ઇડલી ન લેવી’, એમ કહેવામાં આવે છે. એનું કારણ નીચે પ્રમાણે છે :

અ. ઢોસો બનાવતી વેળાએ સેકવાની, જ્‍યારે ઇડલી કરતી વેળાએ બાફવાની પ્રક્રિયા થાય છે. પહેલી પ્રક્રિયામાં, અર્થાત્ ઢોસો બનાવવામાં અધિક અગ્‍નિનો ઉપયોગ થતો હોવાથી સરખામણીમાં તેને પચવામાં હલકાપણું આવે છે.

આ. ઢોસો બનાવતી વેળાએ લોટનું પ્રમાણ તુલનામાં ઓછું જોઈએ છે. (અર્થાત્ આ બાબત આકાર અને સંખ્‍યા પર પણ આધારિત હોય છે.)

– વૈદ્ય પરીક્ષિત શેવડે, આયુર્વેદ વાચસ્‍પતિ, ડોંબિવલી.

Leave a Comment